વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાના કૃષિ પ્રાયોગિક કેદ્ર, નવસારી કૃષિ યુનીવર્સીટી, પરીયા દ્વારા ‘આઇ. સી. એ. આર.- અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના -ફળ’ અંતર્ગત પારડી તાલુકાના ખૂંટેજ અને સેગવા ખાતે ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમનું આયોજન સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. સાગર જે. પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ આંબામા નુકશાન કરતી મુખ્ય જીવાત તરીકે ઓળખાતી ફળમાંખીનું સંકલિત નિયંત્રણનો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં સહ-સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. ચિરાગ આર. પટેલે સંસ્થાનો પરિચય તેમજ કેન્દ્ર ખાતે થતી વિવિધ કામગીરી વિશે સવિસ્તર માહિતી પૂરી પાડી હતી. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કિટકશાસ્ત્ર) ડો. સચિન એમ. ચવ્હાણે ફળમાખી જીવાતની ઓળખ, તેનું જીવનચક્ર, નુકશાન તેમજ સંકલિત વ્યવસ્થાપન વિશેના પગલાંઓની વિસ્તૃત જાણકારી આપવા ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલા અને ફળમાખી જીવાતના વ્યવસ્થાપન માટેની સફળ ટેકનોલોજી – ‘નૌરોજી સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપ’ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ખેડૂતને ૧૦ ફળમાખી ટ્રેપનું વિતરણ કરી ટ્રેપ તૈયાર કરવા અને ખેતરમાં ગોઠવવા અંગે પદ્ધતિ નિદર્શનથી ખેડૂતોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. આ બન્ને ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.