-
સમગ્ર પ્રદેશમાં આકાંક્ષા અને ઉત્તેજનાનો માહોલઃસંઘપ્રદેશ પ્રશાસન પણ સત્કારમાં કોઈ કસર નહીં છોડશે
-
ગયા વર્ષે આવેલા ખૌફનાક તોકતે વાવાઝોડા બાદ દીવના નવઘડતર માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રયાસ બાદ નવનિર્મિત દીવની સોળે કળાએ ખિલેલી આભાના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો સાક્ષીબનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.07
અગામી 11મી જૂનના રોજ દીવ ખાતે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને મળી રહેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકને લઈ સમગ્ર પ્રદેશમાં આકાંક્ષા અને ઉત્તેજનાનો માહોલ પેદા થયો છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહને વધાવવા માટે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે. સમગ્ર દીવ જિલ્લો ભાજપના ભગવા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હોર્ડિંગોથી અનેરી શોભા વધારી રહ્યો છે.
સંઘપ્રદેશ પ્રશાસને પણ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના સન્માન સત્કાર માટે કોઈ કસર છોડી નથી. સંઘપ્રદેશ પ્રશાસને ગયા વર્ષે આવેલા તોકતે વાવાઝોડા બાદ દીવ જિલ્લાનું કરેલું નવઘડતર આંખે ઉડીને વળગે એ પ્રકારના કરેલા નવનિર્માણની ઝલક પણ ઠેર ઠેર દેખાઈ રહી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવના નવનિર્માણ માટે પોતાની તમામ શક્તિ કામે લગાવી ખુબ જ ટૂંકા સમયમાં ફરીથી ધમધમતા જ નહીં પરંતુ વિકાસના પણ નવા અનેક પ્રોજેક્ટ શરૂ કરી દીવ જિલ્લાના વિકાસના દીપકને ઝળહળતો રાખવા સતત પ્રયાસરત રહ્યા છે.
દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતતથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેનું દીવ ખાતે આગમન અપેક્ષિત હોવાથી સલામતિ દળો પણ સતર્ક બની ચુક્યા છે. દીવ જિલ્લાને લોખંડી પોલીસ બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે. દેશની વિવિધ સલામતિ એજન્સીઓએ પણ દીવનો કબ્જો લઈ પોતાની કામગીરી શરૂ કરતા લોકોની આવન-જાવન ઉપર પણ બારીક નજર રાખવામાં આવી રહી છે.