ટ્રસ્ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક),
સરીગામ, તા.24
સરીગામ સીતારામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘અમે ભણાવીશું’ના અભિગમ હેઠળ શિક્ષણલક્ષી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ સ્કૂલ કિટ મેળવનારા ઘણા બાળકો વાલીઓની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે શાળાના અભ્યાસથી વંચિત રહેતા હોવાનું સીતારામ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ બસનારાયણ રાય અને શ્રી કિર્તીભાઈ બસનારાયણ રાયને જાણવા મળ્યું હતું. જેથી જેમના વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાળકોને શાળામાં મોકલી શકતા નથી એમની સર્વેની કામગીરી કરાવી હતી જેમાં બીજા પ્રાંતથી આવીને નોકરી અર્થે સરીગામ ખાતે સ્થાયી થયેલા છે એવા વાલીઓના 150થી વધુ બાળકો ધ્યાન ઉપર આવ્યા હતા. આ તમામ બાળકોને શિક્ષણ આપવાના નેક ઉદ્દેશથી ગણેશ નગરમાં કાર્યરત હિન્દી માધ્યમની સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું અને જે પણ વાલીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શાળાની ફીસ ના ભરી શકે એવી તમામ ફીસ સીતારામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આ બાળકો પાછળશૈક્ષણિક સંપૂર્ણ ખર્ચ કરવાની તૈયારી બતાવી હતી. ટ્રસ્ટના ચેરમેન અને સંચાલક શ્રી પ્રતિકભાઈ રાય અને શ્રી કિર્તીભાઈ રાયની શિક્ષણ લક્ષી નેત્રદીપક કામગીરીની સરીગામ વાસીઓમાં હકારાત્મક નોંધ લેવામાં આવી રહી છે.