(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્ટ, 2022ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી પદકથી સન્માનિત કરાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓને પુરસ્કાર મળી રહ્યો છે. જેમાં દાનહના મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલનો પણ સમાવેશ છે. આ પુરસ્કારનો પ્રારંભ 2018માં ફોજદારી મામલાની તપાસમાં ઉચ્ચ વ્યવસાયી માપદંડોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી પદકથી 151 પોલીસકર્મીઓને સન્માનિત કરાશે. જેમાં દમણ-દીવથી શ્રી લીલાધર મકવાણા પણ સામેલ છે. પુરસ્કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં સીબીઆઈથી 15, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના 11-11, ઉત્તરપ્રદેશના 10, કેરલ અને રાજસ્થાનના 8-8, તામિલનાડુ તથા તેલંગાણાના 5-5, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીના 6-6 પોલીસકર્મીઓ સામેલ છે. આસામ, હરિયાણા, ઓરિસ્સાના 4-4 તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 2 કર્મીઓને આ વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી પદથી નવાજવામાં આવનાર છે.