-
સંસદની જળ સંસાધન સ્થાયી સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 9 સાંસદોની રહેલી ઉપસ્થિતિ
-
નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે સંસદની ડિપાર્ટમેન્ટલી રિલેટેડ સ્ટેન્ડીંગ કમિટી અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્યોએ દમણવાડા ગ્રામ પંચાયત અને દમણવાડા ખાતેના નંદ ઘરની મુલાકાત લીધી હતી.
જળ સંસાધન સંસદીય સ્થાયી સમિતિનું નેતૃત્વ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી પી. રવિન્દ્રનાથ, સાંસદ શ્રી એમ. ધનુષ કુમાર, સાંસદ શ્રી માધવ ગોરંતલા કુર્વા, સાંસદ શ્રી શિવકુમાર સી. ઉદાસી, સાંસદ શ્રી અરૂણસિંહ, સાંસદ શ્રી ચંદનસિંહ વગેરે સાથે સંસદીય સમિતિનાઅધિકારીઓ, દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદોના જૂથે નંદઘરની ખૂબ જ પ્રશંસા કરી હતી અને નંદઘરમાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવામાં આવતા આહારની સુવિધા બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાતથી પણ સાંસદોનું જૂથ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને સરપંચશ્રી મુકેશ ગોસાવી સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.