રોજીંદા અપડાઉન કરતા લોકોને બિરસામુંડા સર્કલ કે અન્ય રસ્તાનો ચકરાવો મારવો પડે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ધરમપુર નજીક આવેલ સ્વર્ગ વાહિની નદી ઉપર ઘણા લાંબા સમયથી નવિન પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પુલ સ્થાનિકો માટે અતિ ઉપયોગી પુલ છે પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોઈ કારણોસર પુલની કામગીરી અટકી પડી છે તેથી ધરમપુર પ્રાંત અધિકારીને તા.પં.ના સભ્યએ આવેદનપત્ર પાઠવી આ પુલની કામગીરી ત્વરીતે ચાલું કરાવાની માંગણી કરી છે.
ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલએ આજે ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે સ્વર્ગવાહિની નદીના પુલની કામગીરી પાંચ મહિનાથી બંધ પડી છે તેથીસમડીચોક થઈને રોજીંદા અપડાઉન કરતા લોકો માટે રસ્તો બંધ થઈ ગયો છે. આ રોડ ઉપર આવેલ દુકાનોને પણ મુશ્કેલીમાં મુકાઈ છે. લોકોને બિરસા મુંડા સર્કલ કે અન્ય રોડ એ થઈ ચકરાવો મારી અવર જવર કરવી પડે છે. તેથી સ્વર્ગવાહિની નદીનો પુલ બનાવી રહેલ એજન્સી જલદી પુલ નિર્માણ કામગીરી પૂર્ણ કરે તેવી માંગણી કરવામાં આવી છે.