નોકરિયાતો, વિદ્યાર્થીઓ તથા રોજ અપ ડાઉન કરનારાઓ હટવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.16: સૌથી વ્યસ્ત અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બિસ્માર માર્ગોને લઈ અકસ્માતોની સંખ્યામાં વધારો થતા આવા ગંભીર અકસ્માતોમાં કેટલાય લોકોના જીવ ગયા છે, અસંખ્ય વાહનોના ટાયરો ફાટયા છે અને કેટલીય ટ્રકો પલટી મારતા લાખોનું નુકસાન પણ થવા પામ્યું છે જેને લઈ કરણી સેના દ્વારા હલ્લા બોલ કરીવિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જાગૃત નાગરિકો દ્વારા હાઇવેના ખાડા પુરવાની પણ કામગીરી કરવામાં આવી હતી પરંતુ રોજ લાખોનો ટેક્ષ ઉઘરાવતા હાઈવે તંત્રએ હાઇવે મરામતની ચોક્કસ કામગીરી ન કરતાં પરિસ્થિતિ જૈસે થે રહેવા પામી છે. થોડા દિવસો અગાઉ વરસાદ બંધ થતાં તંત્ર હાઇવેના માર્ગો રીપેર કરશે એવી વાહન ચાલકોને આશા હતી પરંતુ આળસ ખંખેરીને કામ ન કરતાં હાલ ફરી વરસાદ શરૂ થતાં હાઇવેના માર્ગોની સ્થિતિ વધુ બગડી છે અને વાપી તરફ નોકરીએ જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ખડકી અને ઉદવાડા બ્રિજ પર મસમોટા ખાડાને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યો છે આજે એટલી હદે મુંબઈ જવાના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો કે ઉદવાડાથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ છેક પારડી ચાર રસ્તાના ઓવરબ્રિજ સુધી આવી પહોંચ્યો હતો જેને લઈ આજે વાપી જતા નોકરિયાતો, ધંધા રોજગારિઓ તથા અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. અને હાઈવે ઓથોરેટી પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.