જિલ્લાની 715 આંગણવાડીના 8 હજાર ભૂલકાંઓએ નજીકની પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી: પ્રજ્ઞાવર્ગના બાળકો સાથે અભિનય ગીત, બાળવાર્તા, બાળગીતો, રમતો અને જોડકણા સહિતની પ્રવૃત્તિ કરાવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: આંગણવાડીના ભૂલકાંઓ શાળામાં જવા માટે ઉત્સાહિત થાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બાદ પ્રાથમિક શાળામાં ધો.1માં પ્રવેશ પહેલા એક વર્ષના પ્રજ્ઞાવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વલસાડ જિલ્લામાં શાળાકીય શિક્ષણની પૂર્વ તૈયારી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા અને આઈસીડીએસના ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલનાં માર્ગદર્શન હેઠળ તા. 30 જાન્યુઆરીના રોજ આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓની પ્રાથમિક શાળાના પ્રજ્ઞાવર્ગની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવેલી 715 આંગણવાડીના અંદાજે 8000 બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લાની આંગણવાડીના ભૂલકાંઓની પ્રાથમિક શાળાના પ્રજ્ઞાવર્ગના બાળકો સાથેની સહભાગીતા વિકસે તે હેતુસર આયોજિત આ મુલાકાત દરમ્યાન શાળાનાં બાળકો દ્વારા આંગણવાડીના બાળકો સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓ જેવી કે, અભિનય ગીત, બાળવાર્તા, રમતો રમવી, બાળગીતો, જોડકણા વગેરે કરાવવામાં આવીહતી. બાળકોને પ્રજ્ઞાવર્ગની તમામ વસ્તુ જેવી કે, જૂથવાર શૈક્ષણિક અધ્યયન, સ્વ અધ્યયન, ઘોડાનાં પુસ્તકો, કાર્ડ, લેડરમાં આવેલ એકમ, વ્ન્પ્ (ટીચીંગ ર્લનિંગ મટીરીયલ) વગેરે બતાવી તેનાં વિષે સમજ આપવામાં આવી હતી. શાળાનાં શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગકામ અને ચીટક કામ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
વલસાડ જિલ્લાની આંગણવાડીના ભૂલકાંઓની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાવર્ગના બાળકો સાથેની સહભાગીતા વિકસાવવાના આ નવતર પ્રયોગ થકી આંગણવાડીના ભૂલકાંઓની શાળા પ્રત્યે તત્પરતાનો વિકાસ થતો જોવા મળ્યો છે. તેમજ આંગણવાડીના ભૂલકાંઓ અને શાળાનાં પ્રજ્ઞાવર્ગના બાળકો બંનેમાં આ પ્રવૃત્તિ દ્વારા અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.