દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદા તથા માછી સમાજના યુવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલી વિધિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર શ્રી સમુદ્ર નારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ના નિરીક્ષણ હેઠળ ચાલી રહેલા મંદિર નિર્માણના કાર્યમાં આજે મંદિર ઉપર શિખરની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રી ગોપાલ દાદા અને માછીમાર સમાજના યુવાનોએ મંદિરના શિખરની વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. વિદ્વાન પંડિતોના શાષાોક્ત મંત્રોચ્ચારની સાથે શિખરને મંદિર ઉપર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સમુદ્ર નારાયણ ભગવાનનો જય જયકાર પણ કરવામાં આવ્યો હતો.
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ જણાવ્યું હતું કે,આપણાં લોકલાડિલા પ્રશાસક અને કર્મયોગી શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશથી જ માછીમાર સમાજની આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સમુદ્ર નારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરનું નિર્માણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આજે ભગવાનના મંદિર ઉપર શિખર સ્થાપના વિધિ સંપન્ન થઈ હતી. અધિક શ્રાવણના આ પવિત્ર પુરૂષોત્તમ માસમાં મંદિરની ઉપર શિખર સ્થાપિત થઈ ચુક્યુ છે અને નિર્ધારિત સમયમર્યાદામાં મંદિરના નિર્માણનું કાર્ય સંપન્ન થશે એવી આશા પણ પ્રગટ થઈ રહી છે.