(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટેવર્ક)
સરીગામ, તા.૦૫: ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર અને ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે નિમણૂક આપતા અટવાઈ રહેલા પ્રજાના કાર્યોમાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે વી પાંડવની નિમણૂક કરવામાં આવી છે જે હાલમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં અમિત ઝડફિયાને એન્ટીકરપ્શન ની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેવી જ રીતે ઉમરગામ પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફિસર બારોટની બદલી થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની જરૂરિયાત જણાય રહી હતી. જે જગ્યા ઉપર ચીફ ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.