(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીના આમધરા-મોગરાવાડી માર્ગ સ્થિત ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વાહન ચાલકોની સલામતીના પગલા ભરે તે જરૂરી છે.
ચીખલી – ખેરગામ અને રાનકુવા-રૂમલા બે મુખ્યમાર્ગને જોડતો પીપલગભણ-આમધરા-મોગરાવાડી આંતરિક માર્ગ આ વિસ્તારના ખેડૂતો અને આમલોકો માટે ખૂબ મહત્વનો છે. અને આ માર્ગ વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. ત્યારે આ આમધરા-મોગરાવાડી બે ગામને જોડતા માર્ગ સ્થિત ખરેરા નદી પરના હયાત લો-લેવલ પુલ પર લાંબા સમયથી રેલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.
આમધરા-મોગરાવાડી માર્ગ સ્થિત ખરેરા નદી પરના પુલના બન્ને છેડે તીવ્ર વળાંક હોવાથી અને પુલ રેલિંગના સ્થાનેજે કોન્ક્રીટ પિલ્લર ઉભા કરાયા હતા. તે પણ ગણ્યા ગાંઠ્યા જ બચ્યા છે. પુલની બન્ને બાજુ મહત્તમ લંબાઈમાં રેલિંગ જોવા મળતી નથી. તેવામાં ખાસ કરીને રાત્રીના સમયે વાહન ચાલકોને જોખમ વધી જતું હોય છે. કોઈ સામાન્ય ચૂક થાય અને વાહન ચાલક નદીમાં પડે તો જાનહાની પણ થઈ શકે તેવી સ્થિતિ રેલિંગના અભાવે જોવા મળી રહી છે.
ઉપરોક્ત સંજોગોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ગંભીરતા દાખવી આમધરા-મોગરાવાડી પુલ પર વાહન ચાલકોની સલામતી માટે રેલિંગની વ્યવસ્થા કરી બન્ને છેડે તીવ્ર વળાંક હોય વાહન ચાલક ને સાવચેત કરવા માટે રેડિયમ વાળા સાઈન બોર્ડ અને સૂચના પણ લગાવવામાં આવે તે જરૂરી છે.