-
- લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
- જો સાંસદ બન્યા તો ગ્રુપ -સી અને ડીની ભરતી ડોમિસાઈલ ધરાવતા સ્થાનિક ઉમેદવારોમાંથી જ કરાવવાનો કેતનભાઈ પટેલે વ્યક્ત કરેલો નિર્ધાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણ અને દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે આજે શુભ મુહૂર્તમાં સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમણે પોતાની ધર્મપત્ની શ્રીમતી અમીબેન પટેલ અને પોતાના સંતાનો સાથે સોમનાથ ભગવાનની પૂજા-અર્ચના કરી વિધિવત ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.
દમણ અને દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ દમણ અને દીવમાં પ્રગતિ અને સમૃદ્ધિ આવી છે. કોંગ્રેસ સરકારે જાહેર કરેલ ટેક્સ હોલીડેના કારણે જ આજે દમણના મોટા ભાગના લોકો એક યા બીજી રીતે પગભર બનીને સંતોષથી પોતાનું જીવનજીવી રહ્યા છે. કોંગ્રેસ સરકારે જ 1987માં દમણ અને દીવને ગુજરાતમાં નહીં ભેળવી સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. તેથી દમણ અને દીવની જનતા ખુબ જ સારી રીતે જાણે છે.
દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે વધુમાં પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારીએ માઝા મુકી છે. ભણેલા છોકરાઓને નોકરી મળતી નથી. બી.ઈ. એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓને ફેક્ટરીમાં માંડ 8 થી 10 હજાર રૂપિયા મળે છે, તેથી જો તેઓ આ ચૂંટણીમાં વિજયી બન્યા તો સૌથી પહેલાં ગ્રુપ-‘સી’ અને ‘ડી’ની ભરતી સો ટકા સ્થાનિક ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરાવવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.