કોંગ્રેસની ગેરંટીએ મહિલાઓ અને યુવાનોમાં પેદા કરેલું આકર્ષણઃકોંગ્રેસ અધ્યક્ષ મહેશભાઈ શર્મા2009ની ચૂંટણી
+ બાદ પહેલી વખત કોંગ્રેસે દાદરા નગર હવેલીમાં બતાવેલો દમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીત માહલાએ આજે આમલી બાલાજી મંદિર ખાતે આશીર્વાદ લઈ પોતાના ઉમેદવારી પત્રક ભરવા માટેની રેલીમાં જોડાયા હતા. રેલીમાં 2009ની લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે જોડાયા હોવાનુંઅખબારી યાદીમાં જણાવાયું છે.
દાદરા નગર હવેલી કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો ઉત્સાહ એ બતાવે છે કે, આ વખતે કોંગ્રેસ જીતશે જ. હવે લોકો જુમલાબાજ સરકારની અસલિયત ઓળખી ચુક્યા છે. બીજી બાજુ કોંગ્રેસની ગેરંટીએ મહિલાઓ અને યુવાનોમાં ખાસ આકર્ષણ પેદા કર્યું છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે તો પાંચ ગેરંટી લાગુ કરશે. શ્રી મહેશભાઈ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી ભાજપ પાસે કોઈ ઉમેદવાર જ નહીં હોવાથી તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કંઈપણ કામ નહીં કરનારા પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. શ્રી શર્માએ દાવો કર્યો હતો કે, આ વખતે દાદરા નગર હવેલીની જનતા મન બનાવી ચુકી છે અને તેઓ કોંગ્રેસને વિજયી બનાવશે.
દાનહ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપના એમ.એસ.એમ.ઈ.ને 45 દિવસમાં પેમેન્ટ કરવાના નિર્ણયથી વેપારીઓ નારાજ છે, ઔદ્યોગિક સંગઠનો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. ભાજપના શાસનમાં શ્રમિક નારાજ છે, ગ્રામીણ નારાજ છે, ખેડૂતોમાં અસંતોષ ફેલાયેલો છે. ભાજપ જે 400 પારનો નારો લગાવી રહ્યા છે તેઓ 180થી વધુ સીટો નહીં જીતે તેવી આગાહી શ્રી મહેશભાઈ શર્માએ કરી હતી.
દાદરા નગર હવેલી કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મહેશભાઈશર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલા શિક્ષિત અને સ્વચ્છ છબી ધરાવતા હોવાથી તેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજની આ ઐતિહાસિક રેલીએ પણ સાબિત કરી બતાવ્યું છે કે, આ વખતે શહેરની જનતાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની જનતા પણ કોંગ્રેસની સાથે છે અને અમને પુરો વિશ્વાસ છે કે, સત્તા પરિવર્તન સો ટકા થવાનું છે.
આજની રેલીમાં એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, કોંગ્રેસના ડમી ઉમેદવાર શ્રી યુવરાજ મહેશભાઈ ધોડી, શ્રી મહેશભાઈ ધોડી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.