-
સમસ્ત સંઘપ્રદેશની સ્વચ્છતાની જવાબદારી ઉઠાવી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત
-
ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલ સ્વચ્છતા ઝૂંબેશની તર્જ ઉપર દમણના શહેરી વિસ્તારમાં પણ સાફસફાઈની દેખરેખ માટે કાઉન્સિલરોને બે-બે કલાક ફાળવવા નાણાં સચિવે કરેલી તાકીદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 23
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્વચ્છ બનાવવાની જવાબદારી નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે ઉઠાવી લીધી છે. તેમણે આજે દમણ નગર પાલિકા વિસ્તારને પણ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ તથા પાલિકાના તમામ કાઉન્સિલરો સાથે બેઠક કરી શહેરને સ્વચ્છ રાખવાના પાઠ ભણાવ્યા હતા. આ પ્રસંગે દમણ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી અરુણ ગુપ્તા પણઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સ્વચ્છતા અભિયાન : આદતો બદલવાનું આંદોલન અંતર્ગત નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે નેતૃત્વ લઈ સમગ્ર પ્રદેશને ચોખ્ખુ-ચણાક બનાવવા કમર કસી છે.
દમણ ન.પા.ના સભ્યોને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદેશમાં સ્વચ્છતાના મુદ્દે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો, પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો પોતાના વિસ્તારની સ્વચ્છતાનું નિરીક્ષણ અને સાફસફાઈ અભિયાન ઉપર પોતાનું ધ્યાન આપી રહ્યા છે. દમણ નગર પાલિકા વિસ્તારમાં પણ ગ્રામ પંચાયતોની તર્જ ઉપર દરેક કાઉન્સિલર પોતપોતાના વોર્ડમાં દરરોજ સ્વચ્છતાનું નિરીક્ષણ અને સ્વચ્છતા અભિયાન માટે પોતાના બે-બે કલાકનો સમય ફાળવે. શહેરી વિસ્તારના જનપ્રતિનિધિઓની ભાગીદારીથી જ દમણ શહેર ફક્ત સ્વચ્છ જ નહી બનશે પરંતુ લોકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવશે. જેના કારણે ધીરે ધીરે સ્વચ્છતા આદત બની જશે. આ બેઠકમાં નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે કાઉન્સિલરોને અનેક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા.
દરમિયાન દમણ ન.પા.ના કાઉન્સિલરોએ પણ સ્વચ્છતા અભિયાનમાં પોતાનો સંપૂર્ણસહયોગ અને સમય આપવા વચન આપ્યું હતું. તેમણે શહેર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને અન્ય મુદ્દા ઉપર પણ નાણાં સચિવનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
આજની બેઠકમાં દમણ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, કાઉન્સિલરોમાં શ્રી અસ્પી દમણિયા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી મુકેશ પટેલ, શ્રીમતી તમન્ના મીઠાણી, શ્રી વિનય પટેલ, શ્રીમતી અનિતા જયંતિલાલ, શ્રી પ્રમોદ રાણા, શ્રીમતી સોહિના પટેલ, શ્રીમતી જસવિન્દર ચંદોક, શ્રીમતી રશ્મી હળપતિ, શ્રીમતી ફિરદોશ બાનુ, શ્રીમતી નયના વલબો ઉપસ્થિત રહ્યા હતા.