-
સાત ટર્મના સાંસદે દુધની-કૌંચા વિસ્તારના લોકોની કરેલી ઉપેક્ષા : હાલના સાંસદનું ફક્ત એકજ રટણ ‘‘ અમારું કોઈ સાંભળતું નથી”: પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ
-
પ્રદેશમાં પ્રશાસન અને મોદી સરકારની અનેક યોજનાઓનો લાભ છેવાડેના કૌંચાના લોકોએ લીધો છે, એક સમયે કૌંચાના લોકોએ દુધ લેવા માટે ખાનવેલ સુધી જવું પડતુ હતું જ્યારે આજે એજ કૌંચા ગામથી ગીર ગાયનું દુધ સેલવાસ સુધી જતુ હોવાનો પ્રદેશ ભાજપનો દાવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી બેઠકની લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપની કરારી હાર થયા બાદ હવે ડહાપણની દાઢ ફૂટી હોવાનું દેખાય છે. સંઘપ્રદેશ પ્રશાસન અને મોદી સરકારે કરેલા વિકાસ કામોને મતમાં રૂપાંતરીત કરવા નિષ્ફળ ગયેલા ભાજપના તંત્રએ હવે 2024 માટે અત્યારથી શરૂઆત કરી હોવાની પ્રતિતિ થઈ રહી છે. મોડે મોડે પણ ભાજપને ડહાપણની ફુટેલી દાઢનો ફાયદો પક્ષને થશે એવું માનવામાં આવી રહ્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્યારહાટકરના દિશાનિર્દેશ હેઠળ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પોતાની ટીમ સાથે દુધની અને કૌચાની મુલાકાત લઈ ત્યાંની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આ વિસ્તારના લોકોની જરૂરીયાતથી પણ પ્રદેશ ભાજપ માહિતગાર થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, મહામંત્રી શ્રી મહેશભાઈ ગાંવિત, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉત, શ્રી સોમાભાઈ રાઉત, સેલવાસ ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ દુધની અને કૌંચા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને ગ્રામવાસીઓ સાથે રૂબરૂ વાતચીત પણ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ ગાંવિતે જણાવ્યું હતું કે, કૌંચા જેવા છેવાડેના ગામમાં જે વિકાસ દેખાય રહ્યો છે એ ભાજપની દેન છે. આ વિકાસની ગંગા ભાજપના સાંસદ તરીકે શ્રી નટુભાઈ પટેલ ચૂંટાયા ત્યારથી વહેતી થઈ હોવાનું પણ શ્રી ગાંવિતે જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, સાત ટર્મના સાંસદે આ વિસ્તારના લોકોની ઉપેક્ષા કરી છે અને હાલના સાંસદ ફક્ત એક જ રટણ કરતા જોવા મળે છે કે, અમારૂં કોઈસાંભળતું નથી. તેમણે શિવસેના અને જનતા દળ(યુ)ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, રડવાથી હવે કામ ચાલશે નહીં, લોકોએ તમને મત આપ્યા છે એમના કામ કરો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રશાસન અને મોદી સરકારની અનેક યોજનાઓનો લાભ છેવાડેના કૌંચાના લોકોએ લીધો છે. એક સમયે કૌંચાના લોકોએ દુધ લેવા માટે ખાનવેલ સુધી જવુ પડતુ હતું. જ્યારે આજે એજ કૌંચા ગામથી ગીર ગાયનું દુધ સેલવાસ સુધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશના અંતરીયાળ એવા કૌંચા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય સ્થળનું અભિયારણ પણ આવી રહ્યું છે જેને લઈ અનેક પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાતે આવશે, જેનો સીધો લાભ સ્થાનિક લોકોને મળશે. તેમણે જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનો માટે અનેક યોજનાઓ છે જેનો લાભ લઈ આત્મનિર્ભર બનવા યુવાનોને હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ પ્રતિનિધિ મંડળ પ્રદેશની તમામ પટેલાદોની મુલાકાત લઈ રહ્યું છે અને પ્રદેશના લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.