(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાનહ શિક્ષણ વિભાગ દ્વારા કોવીડ-19ના નિયમ અનુસાર વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે, પરંતુ કેટલાક તોફાની વિદ્યાર્થીઓ દ્વારા અને એમના સાગરીતો દ્વારા શાળા પરિસરની બહાર ખુલ્લેઆમ મારામારી કરતા જોવા મળી રહ્યા છે. જે વધુ વિકરાળ બને તે પહેલા આજુબાજુના દુકાનદારો અને સ્થાનિકોએ બાળકોને અટકાવ્યા હતા.
સેલવાસ ઝંડાચોક સરકારી શાળા બહાર ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ખુલ્લેઆમ મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા. જેઓને આજુબાજુના દુકાનદારો મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકો મારામારી કરતા અટકયા ન હતા. જેથી 112 પર પોલીસને ફોનકર્યો હતો. ઝંડાચોક શાળા અને પોલીસ હેડક્વાર્ટર વચ્ચે બસ્સો મીટરનું અંતર છે. છતાં પણ પોણો કલાક બાદ પોલીસની પીસીઆર વાન આવી હતી. પોલીસવાન આવતા જોઈ મારામારી કરતા છોકરાઓ ભાગી ગયા હતા.
ઘણા દિવસોથી જોવા મળી રહ્યુ છે કે જે સમયે શાળા છુટવાનો સમય થાય ત્યારે જ અચાનક ટપોરીઓ સ્કૂલની આજુબાજુ બાઈક લઈને આવી જાય છે અને કેટલીક છોકરીઓ સાથે પણ બેહુદુ વર્તન કરતા જોવા મળે છે, જયારે આવી ઘટના બને છે ત્યારે બે ત્રણ દિવસ માટે પોલીસ ત્યાં મુકાય છે, પછી ફરી જૈસે થે પરિસ્થિતિ ઉદભવે છે.
અગાઉ દોઢ વર્ષ પહેલા ટોકરખાડા શાળાની અંદર જ ચોપડાની બેગમા ચાકુ લઈને આવેલ વિદ્યાર્થી દ્વારા શાળા છુટયા બાદ શાળા પરિસરની બહાર બે ત્રણ વિદ્યાર્થીઓ પર ચાકુ વડે હુમલો કરવામા આવ્યો હતો,જે સમયે પણ બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આવી ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે એ જરૂરી બન્યુ છે.
ઝંડાચોક આઝાદી સ્મારકની બાજુમા મુવેબલ સીસીટીવી કેમેરો લગાવવામાં આવેલ હતો તે સમયે ડરના માર્યા ટપોરીઓ આવતા પહેલા વિચારતા હતા જ્યારથી સીસીટીવી કેમેરો કાઢી નાખવામા આવ્યો ત્યારથી વારંવાર વિદ્યાર્થીઓ અને એમના ટપોરી મિત્રો આવીમારામારી કરીને ધૂમ સ્ટાઇલ બાઈક પર ભાગી જાય છે. પોલીસ પ્રશાસન દ્વારા જો આવા ટપોરીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવશે તો જ આ લડાઈ બંધ થશે નહિ તો કોઈ અનિચ્છનીય બનાવ નહી બને તો નવાઈ નહિ.