ડેમના ડુબાણમાં જનારા ગામડાઓના હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો આજે દેશની લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે ભલામણ કરી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારી નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે.
લોકો બેરોજગાર થશે,બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ-જંગલ, જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
આટલી મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર અને પર્યાવરણને ભારે નુકશાનપહોંચાડી શકે તેવી આ યોજના તાત્કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના માધ્યમથી ભારત સરકારને કરી છે.