-
કેવડિયાના એક્તા ઓડિટોરીયમ ખાતે ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં મોટીવેશનલ વક્તા: સિમરનજીત સિંઘે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકપ્રતિનિધિઓને આપેલું માર્ગદર્શન
-
દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલ અને દીવ જિ.પં.પ્રમુખ અમૃતાબેન બામણિયાએ એક્સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનું આયોજન કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો દિલથી આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.31
બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડીયા ખાતે એકતા ઓડિટોરીયમમાં આયોજીત એક્સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં ઉપસ્થિત મોટીવેશનલ વક્તા શ્રી સિમરનજીત સિંઘે પોતાના વક્તવ્યથી ઉપસ્થિત તમામ જનપ્રતિનિધિઓનો હોંસલો બુલંદ કર્યો હતો. તેમણે જણાવ્યુંહતું કે, ભારતની માટીમાંજ કંઈક દિવ્ય શક્તિ છે જેના કારણે અશક્ય ગણાતા કામો પણ શક્ય બને છે. તેમણે સિયાચીન ખાતે કાતિલ ઠંડીમાં ફરજ બજાવતા આપણા જાબાંઝ સૈનિકોનું પણ દૃષ્ટાંત આપ્યું હતું.
શ્રી સિમરનજીત સિંઘે જણાવ્યું હતું કે, જેમની પાસે આઈડીયા છે, પ્રેરણા છે અને લાગુ કરવાની લગન છે તેમના માટે કોઈ કાર્ય અશક્ય નહીં હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચિંગારી માટે જરૂરી છે ઓક્સિજન.
શ્રી સિમરનજીત સિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કમ્ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્નતી નથી. તેમણે સમાજમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હોવાનું દાખલા દલીલો સાથે સમજાવ્યું હતું. જેમાં પ્રથમ એંગેજ કે જેઓ કોઈને કોઈ કામ સાથે જોડાયેલા રહે છે, જ્યારે બીજો પ્રકાર છે ડિસએંગેજ કે જેઓ કોઈ કામ કરતુ હોય તો, તેમાં અડધા જ સામેલ થતા હોય છે. જ્યારે ત્રીજો પ્રકાર છે એક્ટીવલી ડિસએંગેજ કે જેઓ ફક્ત કોઈ સારી પહેલ કરે તો તેની ખામીઓ શોધતા ફરે, આવા લોકોથી દુર રહેવા શીખામણ આપી હતી. તેમણે એક તોતિંગ વૃક્ષ પડવાથી સર્જાયેલા ટ્રાફિકજામના દૃષ્ટાંત સાથે જણાવ્યું હતું કે, શાળાનો એક બાળક આ તોતિંગ વૃક્ષને ખસેડવાનો પ્રયાસ કરે છે. વૃક્ષ ખસેડવા બાળક અસમર્થ છે પરંતુ તેમણે કરેલી પહેલ એકચિંગારી બને છે અને ટ્રાફિક જામમાં ફસાયેલા એક,બે અને એમ કરતા ઘણા લોકો મદદે આવે છે અને છેલ્લે વૃક્ષને ખસેડવા સફળ થાય છે. તેથી કોઈ પણ એક સારી પહેલ કરવાથી ફરક પડતો હોવાનો સંદેશ તેમણે આપ્યો હતો.
શ્રી સિમરનજીત સિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યુગ ટેક્નોલોજીનો છે તેથી ટેક્નોલોજીમાં પાછળ નહી રહો અને ફ્રેન્ડલીજ નહી પરંતુ માસ્ટર ટેક્નોલોજીમાં મહારથ કેળવવા સલાહ આપી હતી. તેમણે ભૂતકાળના ગૌરવ અને ભવિષ્ય ઉપર વિશ્વાસ રાખી આગળ વધવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની પહેલથી જ નેતૃત્વશક્તિ ખીલે છે અને નેતૃત્વ શક્તિ માટે પહેલ કરવી જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી થયેલા આ આયોજન બદલ અભિનંદન પાઠવવાની સાથે આભાર પણ પ્રગટ કર્યો હતો અને એક્તાના પ્રતિક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી તમામ જનપ્રતિનિધિઓમાં એક્તાની ભાવના પણ પ્રગટી હોવાનું જણાવ્યું હતું.
દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાએ પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત બહેનોનેપોતાના ઘર-પરિવારથી દુર આવી એક સુંદર વાતાવરણ મળ્યું છે અને ઘણું શીખવાનું પણ મળ્યું છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કડૈયા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી આનંદ પંચાલે ખુબ જ કુશળતાથી કર્યુ હતું.