(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાદરા નગર હવેલી ભાજપએસ.સી. મોર્ચાનાં ઉપાધ્યક્ષ શ્રી ગુલાબ રોહિત દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપની ફ્રી શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. આદિવાસી બહુલ દાનહનાં કલેક્ટરશ્રીને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે વર્ષ 2020-2021માં ફ્રી શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી શિપ કાર્ડ ધારક અનુ.જાતિ/જનજાતિ વિદ્યાર્થી કોઈપણ ફી ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ મળી ગયાં હોય તો તમામ ફી પરત મેળવી શકશે.
દાનહ-દમણ-દીવમાં ઘણાં પ્રતિભાશાળી અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારી સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડની સુવિધા મળે તો સારૂં ઉચ્ચ શિક્ષા મેળવી ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્ય ગુજરાતમાં પણ ફ્રી શિપ કાર્ડની સુવિધા અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ છે. ત્યારે ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે અનુ.જાતિ /જનજાતિ વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં અનુસૂચિત વર્ગનીસીટો વધારવા, અનુ.જાતિ / જનજાતિ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્લાસની પણ સુવિધા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.