(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.22મે ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં રાનવેરી કલ્લાના જૂનાવાડા ફળીયા સ્થિત ફરિયાદી સ્નેહલકુમાર હસમુખભાઈ પટેલ (ઉ.વ.26)ની બહેનને અગાઉની નાની બોલાચાલીની અદાવત રાખી પાડોશી મનીષભાઈએ ગાળો આપતા તે બાબતે પૂછવા જતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ સ્નેહલકુમારને લાકડાનો ફટકો મારતા અને તેને બચાવવા જતા તેની બહેન અર્પિતાને પણ ઝપાઝપી કરતા અન્યો ભેગા મળી માર મારતા અને તેમના સંબંધી કૃપલ તથા ચિંતન સાથે પણ ઝપાઝપી કરી ઢીક્કામુક્કીનો માર મારવા લાગતા આજુબાજુના ઘણાં લોકો દોડી આવી વધુ મારથી બચાવ્યા હતા.
બનાવમાં સ્નેહલકુમારને માથામાં ઇજા થતાં ચક્કર આવતા ગામના સરપંચ સહિતનાઓ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. આ ઉપરાંત તેની બહેન અર્પિતાને પણ સારવાર લેવાની ફરજ પડી હતી.
ઉપરોક્ત હકીકત મુજબની ફરિયાદમાં પોલીસે મનીષ અર્જુનભાઈ પટેલ, અર્જુનભાઈ પટેલ, નિમિષા અર્જુન પટેલ તથા વિહલ ઈશ્વરભાઈ પટેલ (તમામ રહે.રાનવેરી કલ્લા જૂનાવાડા ફળિયું તા. ચીખલી) એમ ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કે.એમ.વસાવા કરી રહ્યા છે.