આજે દમણવાડા પંચાયત વિસ્તારમાં થનારા જમીનના પુનઃ સર્વેક્ષણના સંદર્ભમાં યોજાનારી ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા પણ કરાયેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દમણમાં સુશાસન સપ્તાહ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ નવતર કાર્યક્રમ હેઠળ ટ્રેક્ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પંચાયતના દરેક વોર્ડમાં જઈ ગ્રામજનોને પોતાના ઘરઆંગણે વિવિધ સર્ટીફિકેટો કાઢી આપવામાં આવ્યા હતા અને તેમની સમસ્યા પણ સાંભળી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં આયોજીત ‘આપણાં આંગણામાં ગ્રામ પંચાયત’ કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, શ્રી વિષ્ણુ બાબુ, સેક્રેટરી શ્રી નિખિલ મીટના તથા સ્ટાફના સભ્યો જોડાયા હતા. ભાઠૈયા ખાતે દમણવાડા વિભાગના પૂર્વ જિ.પં. સભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી નવતર અભિગમની પ્રશંસા કરી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડથી શરૂ થયેલ ‘પંચાયત આપણાં આંગણામાં’ પંચાયતનું હાલતું-ચાલતું કાર્યાલયનવા જમ્પોર, ઢોલર, ભાઠૈયા થઈ ભામટીથી નવી નગરી, તળાવ ફળિયા અને પલહિત થઈ બોરિયા તળાવ ખાતે વિરામ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ખુબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને દમણવાડા પંચાયત દ્વારા શરૂ કરાયેલા નવતર અભિયાનની પ્રશંસા પણ કરી હતી. દરરોજ કામધંધામાં વ્યસ્ત રહેતા લોકોને પોતાના ઘરઆંગણે જરૂરી સર્ટીફિકેટની સેવા પણ મળતાં તેઓએ આનંદ પણ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સોમવારે પંચાયત કાર્યાલય ખાતે જમીનના પુનઃ સર્વેક્ષણની જાણકારી માટે યોજાનાર ગ્રામસભામાં હાજરી આપવા પણ અનુરોધ કર્યો હતો.