લગભગ પાંચ હજાર જેટલા લોકોએ લીધેલો ભાગઃ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો, પંચાયતના સરપંચો તથા વોર્ડ મેમ્બર અને કાર્યકર્તા, એનજીઓ, પ્રવાસીઓ વગેરેએ સ્વયંભૂ જોડાઈ સફળ બનાવેલું અભિયાન: 3 ટન એકત્ર કરાયેલો કચરો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણમાં આજે સમુદ્ર તટની સ્વચ્છતા માટે શરૂ કરાયેલા અભિયાને જન આંદોલનનું સ્વરૂપ પકડયું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર દેશની સાથે આજે દમણમાં દરિયા કિનારાની સ્વચ્છતા માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં જિલ્લા પંચાયત, વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, વિવિધ સેવા સંગઠનો, સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, ઔદ્યોગિક સંગઠનો તથા દમણની સહેલગાહે આવેલા પ્રવાસીઓ પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
આજે સવારે લગભગ 6:30 કલાકે નાની દમણ બીચથી કડૈયા સુધીના સુધીના દરિયા કિનારાની સફાઈ માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં વિવિધ વિભાગોને કુલ 23 સ્પોટની ફાળવણી કરવામાં આવી હતી અને આ સફાઈ કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરાઈ હતી. સફાઈ અભિયાન દરમિયાન 3 ટન જેટલો કચરોકૂડો એકત્ર કરાયો હતો.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, આરોગ્ય સચિવ શ્રીમતી એ. મુથમ્મા, ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરે, જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવ, ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા સહિતના અધિકારીઓએ પણ સ્વચ્છતા અભિયાનનું નિયમન કર્યું હતું.