દાનહના કલેક્ટરનો હવાલો ભાનુ પ્રભા સંભાળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસને અગામી તા.18મી જુલાઈથી રિલીવ કરવાનો આદેશ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરાયો છે. હવે દાદરા નગર હવેલીના કલેક્ટરની જવાબદારી શ્રીમતી ભાનુ પ્રભાને સુપ્રત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આઈ.એ.એસ. અધિકારી ડો. રાકેશ મિન્હાસની લક્ષદ્વીપ બદલીના આદેશ જારી કરાયા હતા. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશનાપ્રશાસકશ્રીના આદેશથી અગામી તા.18મી જુલાઈથી ડો. રાકેશ મિન્હાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાંથી રિલીવ કરવાનો આદેશ અપાયો છે.
અત્રે નોંધનીય છે કે, ડો. રાકેશ મિન્હાસે પોતાના કાર્યકાળ દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીના કલેક્ટર તરીકે પોતાની ઉત્તમ ભૂમિકા ભજવી હતી અને પ્રશાસનના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા પોતાની કોશિષ જારી રાખી હતી.