વિવિધ 18 શ્રેણીના કારીગરો તથા અન્ય કારીગરોને યોજનાનો લાભ મળશેઃ દમણના તમામ સરલ સેવા કેન્દ્રો પરથી રજીસ્ટ્રેશન કરવા સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ નગરપાલિકાના અધ્યક્ષ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ સંઘપ્રદેશ દમણમાં લાગૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, દમણમાં વસતા પરંપરાગત કારીગરો અને અન્ય કારીગરોને મદદ કરવા માટે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી મોદીની આ મહત્વાકાંક્ષી યોજના છે. શ્રી અસ્પી દમણિયાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’માં સુથાર, હોડી બનાવનારા, હથિયાર બનાવનારા, લુહાર,તાળા બનાવનારા, હથોડી અને ટૂલકીટ બનાવનારા, સુવર્ણકારો, કુંભારો, શિલ્પકારો, મોચી, ચણતર, દાળિયા, સાદડી, સાવરણી બનાવનારા, પરંપરાગત ઢીંગલી અને રમકડાં બનાવનારા, નાઈ, માળા બનાવનારા, ધોબી, દરજી અને માછલીની જાળી બનાવનારાઓનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક કારીગરો દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતના સરલ સેવા કેન્દ્રમાં પોતાની નોંધણી કરાવી શકે છે. યોજના થકી પ્રથમ તબક્કામાં બે દિવસ માટે એક દિવસની તાલીમ આપવામાં આવશે. તેની સાથે જ લાભાર્થીને 500 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તે પછી તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રક્રિયા બાદ 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન ગેરેંટી કે ગીરો વગરની હશે. આ લોન ચૂકવ્યા બાદ ફરીથી 15 દિવસની તાલીમ આપવામાં આવશે. જેમાં નવા સાધનો વિશે માહિતી આપવામાં આવશે. જે તાલીમ માટે લાભાર્થીને રૂા.700 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ત્યાર બાદ 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. લોનનું વ્યાજ માત્ર 5% વાર્ષિક રહેશે. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ હેઠળ કૌશલ્ય વિકાસ તાલીમ, ટૂલકીટ લાભો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન અને માર્કેટીંગ સપોર્ટ આપવામાંઆવશે.