પૂરના પાણી ઓસરતા યુધ્ધના ધોરણે કામગીરી કરવા તમામ વિભાગોના અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી અરવિંદ વિજયન ઉપસ્થિત રહયાં હતાં.
જિલ્લા સંકલન બેઠકમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હવે પૂરના પાણી ઓસરતા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા તમામ વિભાગોના અધિકારીઓને જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું. ડિઝાસ્ટરની કામગીરીમાં ગુજરાત સરકાર ખૂબ જ સક્ષમ છે. જયાં જયાં રાહત સામગ્રીની અછત હોય ત્યાં પહોંચી જવા તેમજ દરેક અસરગ્રસ્તોની પરિસ્થિતિ જાણી તેમની તકલીફ દૂર કરવા જણાવ્યું હતું. અસરગ્રસ્તો પુર દરમિયાન સરકારી શાળામાં આશરો લીધો હતો. હવે પૂર ઓસર્યા બાદ અસરગ્રસ્તો પોતાના ઘરે પરત જતાં રહયા બાદ તેમની મુશ્કેલી જાણી નિવારણ કરવા જણાવ્યું હતું. ઘરમાં પાણી ભરાયા તેવા ધરોમાં કીચડ સાફ કરી કુસકી તેમજ તાડપત્રી નાંખવાથી તેઓ સુઇ શકે. લોકોના સંવેદનશીલ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેર તેમજ ગ્રામ્યના માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ થયેલા રસ્તાઓને તાત્કાલિક મરામત હાથ ધરવા સાથે લોકોને શુધ્ધ પીવાનું પાણી, પશુઓ માટે ઘાસચારો, ઘરવખરી અને મકાન સહાયની સર્વે હાથ ધરવા, ખેતીવાડી વિભાગમાં સર્વે, ખોરવાયેલ વીજપુરવઠો શરૂ કરવા, આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી હાથ ધરવા જણાવ્યું હતું. શહેરી વિભાગમાં નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિભાગમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાનની કામગીરી કરવા જણાવ્યું હતું. દરેક અધિકારીઓને પોતાના અસરગ્રસ્ત વિસ્તારની માહિતી લઇ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. બેઠકમાં રજૂ થયેલા નવસારી ધારાસભ્યશ્રીના મોટાભાગના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.