વાપી-વલસાડમાં 1500 ઉપરાંત સ્થળોએ શ્રીજીની સ્થાપના કરી : દોઢ દિવસીય મૂર્તિઓનું ગુરુવારે વિસર્જન થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનો મહિમા અપરંપાર છે. ભાદરવા સુદ-4 ગણેશ ચતુર્થીના શુભ દિવસથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. બે વર્ષના કોરોના વિઘ્ન બાદ આ વર્ષે વિઘ્નહર્તાની સ્થાપના કરવાનો અવસર મળ્યો છે ત્યારે સમગ્ર જિલ્લો ગણેશમય બની ચૂક્યો છે. વાપી, વલસાડની સોસાયટીઓમાં વિવિધ મંડળો દ્વારા આકર્ષક પંડાલોમાં 1500 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. બુધવારથી પ્રારંભ થયેલ ગણેશ મહામહોત્સવ આનંદ ચૌદશ સુધી 11 દિવસ ચાલશે. બુધવારે ઢોલ ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા-કુદરતા ભક્તો પોતાની શ્રીજીની મૂર્તિઓ લાવ્યા હતા. વિધિવતમંત્રોચ્ચાર સાથે બાપ્પાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળોના પંડાલમાં જુદી જુદી થીમનો ઓપ અપાયો છે. ક્યાંક રાષ્ટ્રપ્રેમ, ક્યાંક કોરોના, ક્યાંક ધાર્મિક થીમોનો ટચ સાથે ગણેશ મહોત્સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. દોઢ, ત્રણ, પાંચ, સાત અને અગિયાર દિવસીય ગણેશજીનું ક્રમશઃ વિસર્જન કરવામાં આવશે. આજે ગુરૂવારે દોઢ દિવસીય ગણેશજીનું આજે વિસર્જન કરાયું હતું. મકાનો, ફલેટમાં મોટા ભાગે દોઢ દિવસીય શ્રીજીની સ્થાપના કરાય છે. ગણેશ ઉત્સવનો પ્રારંભ 150 વર્ષ પહેલાં મહારાષ્ટ્રથી થયો હતો પરંતુ હવે ગુજરાતભરમાં ગણેશ ઉત્સવની ધૂમ ચાલે છે.