(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં એક યુવાનની હત્યા કરેલ જોવા મળતા ચકચારમચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.29) રહેવાસી દાદરા, જે સોમવારના રોજ સવારે બ્રાહ્મણ ફળીયા નરોલી ખાતે સાસરે આવ્યો હતો. જે એના સાસરાના ઘર નજીક જ એની માસીનું પણ ઘર આવેલ છે, જ્યાં એ રાત્રી દરમ્યાન રોકાયો હતો. સવારે જ્યારે એની માસીએ ઉઠીને જોયું તો રાકેશ ઘરમાં ન હતો, જેથી બહાર નીકળીને જોયું તો ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો, જે જોઈ માસીએ એના સાસરાવાળાને તાત્કાલિક જાણ કરી હતી, સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીના, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, એસએચઓ શ્રી અનિલ ટી.કે., પીએસઆઈ શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.
તપાસમાં રાકેશની પત્નીની પૂછપરછ કરતા જણાવ્યું કે અમારા વચ્ચે સારો સબંધ હતો, હું હાલમાં પિયરમાં રહેવા આવી હતી અને મારા પતિ મને મળવા આવ્યા હતા. આજુબાજુ પૂછપરછ કરતા શંકાના આધારે એક યુવાનને પકડમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. રાકેશની હત્યા કોઈએ માથાના ભાગે કુહાડી મારી કરી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.