(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિવસ નિમિત્તે વલસાડમાં બીઓબી ક્ષેત્રીય કાર્યાલય દ્વારા તા. ૨૦ જુલાઈના રોજ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રોહિત પટેલ રિટાયર્ડ ચીફ જનરલ મેનેજર (બીઓબી, બરોડા કોર્પોરેટ સેન્ટર, મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેંકની સ્થાપના અને વિકાસ અંગેની રૂપરેખા રજૂ કરી હતી. આ સમારોહમાં મોટી સંખ્યામાં બેંકના રિટાયર્ડ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના, ક્ષેત્રીય કાર્યાલય, વલસાડના પ્રાદેશિક વડા શૈલેન્દ્રકુમાર સિંહે અટારમાં માનવ સેવા સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા વડીલો સાથે બેંકના વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કેક કાપવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક જવાબદારીના ભાગરૂપે (CSR) શૈલેન્દ્રકુમાર સિંહ (પ્રાદેશિક વડા) દ્વારા ૫૦ ખુરશી સ્મૃતિભેટ તરીકે સંસ્થાને આપવામાં આવી હતી. પ્રાદેશિક વડા શૈલેન્દ્રકુમાર સિંહ અને નાયબ પ્રાદેશિક વડા સત્ય નારાયણ સિંહ દ્વારા હોમગાર્ડ કચેરી વલસાડની મુલાકાત લઈ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ૧૫૭ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ૪૩ કર્મચારીઓને રેઈન કોટનું વિતરણ કર્યું હતું. બેંક ઓફ બરોડાના વલસાડ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા લોહાણા સમાજ હૉલમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બેંકના કર્મચારી અને બેંકના શુભચિંતકો દ્વારા રક્તદાન કરાયું હતું.
Previous post