બંન્ને ટ્રક ચાલક-ક્લિનર ઘાયલ થયાઃ સદ્નસીબે જાનહાની ટળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: ગુજરાત મહારાષ્ટ્રને જોડતા કપરાડા-નાસિક સ્ટેટ હાઈવે ઉપર આવેલ કુંભઘાટ છેલ્લા ઘણા વર્ષોથી મોતનો ઘાટ બની રહેલ છે. સપ્તાહમાં એકથી વધારે ટ્રક પલટી જવાની ઘટનાઓ નિરંતર બની રહી છે. ગતરોજ સાંજના વધુ બે ટ્રક કુંભઘાટમાં નીચે ઉતરતા પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવર-ક્લિનર ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. બે ટ્રક પાસ પાસે પલટી મારી જતા ટ્રાફિક જામ થયો હતો પરંતુ પોલીસે ક્રેઈન દ્વારા ટ્રક ખસેડી લેતા વાહન વહેવાર રાબેતા મુજબસ્થિર થયો હતો.
કપરાડા નજીક આવેલ કુંભઘાટમાં ગતરોજ એક ખાતર ભરેલ અને એક પેપર રોલ ભરેલી બે ટ્રક નજીક નજીક બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. કુંભઘાટમાં વળાંકો જોખમી અને ચઢાણ-ઉતરાણ વાળા વધુ હોવાથી ટ્રક ચાલકો વારંવાર ટ્રકનો કાબુ ગુમાવતા હોય છે. પરિણામે નિરંતર અકસ્માત થતા રહે છે. પ્રત્યેક સપ્તાહે એક-બે ટ્રક પલટી મારવાના બનાવ બને છે. ક્યારેક તો આખી ટ્રક ખીણોમાં ગરકાવ થતી હોવાના જીવલેણ બનાવો ભૂતકાળમાં નોંધાયેલા છે.