સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.22: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની મુલાકાત કરી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં સબડી રહેલા 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળી દમણ-દીવ અને ગુજરાત સહિત દેશના 618 જેટલા પાકિસ્તાની જેલમાં બંદીવાન માછીમારોની વ્યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1523 જેટલી બોટ પણ પાકિસ્તાનના કબ્જામાં રહેલી છે. તેમણે માછીમારો અને બોટોને છોડાવવા પાકિસ્તાન સત્તાવાળાઓ સાથે યોગ્ય વાટાઘાટ કરી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.