-
દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીને વધાવવા સંઘપ્રદેશમાં લાગેલી હોડ
-
પ્રદેશની આઝાદી બાદ પહેલી વખત અનુ.જાતિના વ્યક્તિની દીવ ન.પા.ના પ્રમુખ તરીકે કરાયેલી નિયુક્તિ બદલ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા લખાનારા પોસ્ટકાર્ડો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દીવ નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીના અભિવાદન માટે દમણ અને દાદરા નગર હવેલીના અનુ.જાતિ સમુદાયના લોકોમાં હોડ ઉમટી હોય એવી પ્રતિતિ થઈ હતી. પ્રદેશનીઆઝાદી બાદ પહેલી વખત બિન અનામત બેઠક હોવા છતાં પણ પાલિકાના સર્વોચ્ચ સ્થાને બેસવા મળેલી તક બદલ અનુ.જાતિ સમુદાયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સંઘપ્રદેશ પ્રશાસન અને ભાજપ પ્રત્યે આભારની લાગણી પણ પ્રગટ થઈ રહી છે.
શનિવારે સેલવાસ નગરપાલિકાના વોર્ડ નં.4 ખાતે યોજાયેલ સત્કાર સંમારંભમાં પણ લોકોનો જુસ્સો સાતમા આસમાને ગયો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ અનુ.જાતિ મોર્ચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોર્ચાના પ્રભારી શ્રીમતી ભારતીબેન હળપતિ, મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી નિમેષ દમણિયા, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેશભાઈ મિષાી, શ્રી મયુરભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ, વોર્ડ નં.4ના કાઉન્સિલર શ્રીમતી કવિતાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર શ્રી નિલેશભાઈ પટેલ, અનુ.જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ શ્રી આનંદ સાવરે, ગ્રામીણ જિલ્લા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ માહ્યાવંશી, ગ્રામીણ ઉપ પ્રમુખ શ્રી ગુલાબભાઈ રોહિત, દમણ જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ, જિલ્લા મહામંત્રી શ્રી દિપીનભાઈ દમણિયા વગેરે નવનિર્વાચિત દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં 2011 સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનીકોલેજ નહીં હતી. પ્રદેશના શોષિત, વંચિત, પીડિત, દલિત અને આદિવાસી લોકોને ઘરઆંગણે શિક્ષણ નહીં મળે તેવું કાવતરૂ કરાયું હતું. પરંતુ તત્કાલિન ભાજપના સાંસદ શ્રી નટુભાઈ પટેલે કરેલી પહેલ અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેલવાસની કોલેજને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં કરેલી મદદ બાદ કોલેજનો પ્રારંભ થઈ શક્યો હતો. આજે પ્રદેશમાં મેડિકલથી લઈ અનેક કોલેજો આવી ચુકી છે. તેમણે મોદી સરકાર અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પેદા કરેલા સમરસતાના વાતાવરણના કારણે સમાજના છેવાડેના લોકોને પણ તેમની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે સ્થાન મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર પ્રગટ કરવા પણ હાકલ કરી હતી.
આ પ્રસંગે દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકીએ ગદ્ગદિત થતાં જણાવ્યું હતું કે, તેમના ઉપર મુકવામાં આવેલા વિશ્વાસને તેઓ સાર્થક કરશે.
આભારવિધિ અનુ.જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી નિમેષભાઈ દમણિયાએ આટોપી હતી. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી હિતેશભાઈ મિષાીએ કર્યું હતું.