(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી પંચાયત વિસ્તારમાં વિવિધ કંપનીઓ આવેલી છે, જેમાંથી કેટલીક કંપનીઓ દ્વારા કેમીકલવાળું પાણી બહાર ખુલ્લામાં છોડાતુ હોવાની ફરિયાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને ભોયાપાડા વિસ્તારના લોકોએ ફરિયાદ કરી હતી કે કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલવાળુ પાણી આડેધડ છોડવાને કારણે અમારા ખેતરો બર્બાદ થઈ રહ્યા છે અને કૂવાતથા બોરીંગના પાણી પણ દૂષિત થયા છે. જેથી સરપંચ અને સભ્યોએ સ્થાનિકોની મુલાકાત લીધી હતી અને સ્થળ મુલાકાત દરમ્યાન હકીકતથી વાકેફ થયા હતા. ત્યારબાદ સાયલી પંચાયત દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરવામાં આવી છે.
સાયલી ભોયાપાડા ખાતે કેટલીક કંપનીઓ આવેલ છે, જેમાં પેટના ફાર્માસ્યુટીકલ, શિવશક્તિ પોલીકેમ, રેના કુલકીત કેનોવારે, પ્લેટિનમ ફેબ્રિક, અપાર ઈન્ડસ્ટ્રીઝ, એરો ફાઈબર પ્રાઈવેટ લીમીટેડ, પૂજા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, હેરબો ગ્લોબલ ફાર્માસ્યુટીકલ, ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ, આલોક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સહિતની કંપનીઓની ગંદી ગટર અને ઓઇલવાળુ પાણી સાયલી ભોયાપાડા ખાતે આવેલ ખેડૂતોના જમીનમાં છોડવામાં આવે છે, જેથી ખેડૂતોની જમીન ખેતી કરવા લાયક પણ રહી નથી અને આ જમીનમાં ઓઇલવાળુ અને કેમીકલવાળુ પાણી આવવાથી કોઈપણ જાતની ખેતીનો પાક લઈ શકતા નથી.
સાયલી મોટાભાગે આદિવાસી બહુલ વિસ્તાર છે અતે તેઓનું જીવન-ધોરણ ખેતી પર નિર્ભર છે. એના સિવાય એમના પાસે અન્ય કોઈ રોજગાર પણ નથી. જેથી કંપનીઓની કઠોર ચકાસણી કરી કઈ કંપની દૂષિત અને ઓઈલયુક્ત ગંદા પાણીને ગટરમાં છોડી રહી છે. જે પણ હોય તેઓ સામે કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ ખેડૂતનીજમીનમાં ઓઈલવાળું ગંદુ પાણી આવતુ હોય અને એ જમીનમાં ખેતી કરી શકતા નથી તેવા ખેડૂતોને વળતર આપવામાં આવે એવું નિવેદન પંચાયત દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસો પહેલાં પણ આ વિસ્તારના કૂવા, બોર તથા અન્ય પાણીનાસ્ત્રોતમાં કંપીનીઓ દ્વારા ગંદા પ્રદૂષિત પાણી છોડવાના કારણે પીવાના પાણી માટે લોકોને તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી.
Previous post