આગામી 20, 21 અને 22મી ડિસેમ્બરે યોજાનારા વિશ્વ સ્તરીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ, ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ભરૂચ ખાતેની ભગવાન શ્રી ચક્રધર સ્વામીની જન્મ ભૂમિ ઉપર વિધર્મીઓના કબ્જાને હટાવી મહાનુભાવ સંપ્રદાયને સુપ્રત કરવા માંગ કરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26 : ગુજરાતના છેવાડાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા કપરાડા તાલુકાના ગામ વાલવેરી ખાતે ‘મહાનુભાવ પંથ’ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં ત્રણ દિવસીય ભવ્ય દિવ્ય ધાર્મિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના માટે મહાનુભાવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કાર્યક્રમની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે. આગામી ડિસેમ્બરની તારીખ 20, 21 અને 22 એમ ત્રણ દિવસ વાલવેરી ખાતે અખિલ ભારતીયમહાનુભાવ સંમેલન શ્રીમદ્ ભાગવત ગીતા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જે અંગે આયોજક મંડળ તરફથી અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના પ્રમુખ શ્રી દિનકરભાઈ પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાત તથા દાદરા નગર હવેલીના સંયુક્ત ઉપક્રમે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસિય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, વલસાડ-ડાંગના સાંસદ ડો. કે. સી. પટેલ, દાનહના સાંસદ શ્રી કલાબેન ડેલધર, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી સહિતના વિક્રમગઢ(મહારાષ્ટ્ર)ના ધારાસભ્ય શ્રી સુનિલ ભુસારા વગેરે ગણમાન્ય મહાનુભાવો હાજરી આપશે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ જણાવતા શ્રી દિનકર પાટીલે જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, સમગ્ર કાર્યક્રમ ધાર્મિક રીતે આયોજિત છે. સનાતન ધર્મ સાથે અને હિન્દુ સાથે જોડાયેલી પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે જેના કારણે તમામ લોકોને રાજકીય રીતે નહીં પરંતુ અધ્યાત્મિક રીતેઆમંત્રિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મનો પ્રચાર-પ્રસાર થાય આદિવાસી ક્ષેત્રમાં લોકો વ્યસન મુક્ત બને, તેમનો આધ્યાત્મિક વિકાસ થાય. સાથે સાથે મહાનુભાવ સંપ્રદાયના ભગવાન શ્રી ચક્રધર સ્વામીની જન્મભૂમિ ગુજરાતના ભરૂચ ખાતે આવેલી છે જેને તીર્થસ્થાન બનાવવામાં આવે. હાલમાં તે સ્થળ સરકારના પુરાતત્વ ખાતા પાસે છે પરંતુ તેની દેખરેખ અને જાળવણી નહીં કરવામાં આવતા તેના ઉપર વિધર્મીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તે હટાવવામાં આવે અને મહાનુભાવ સંપ્રદાયના લોકોને તે સ્થળ પરત મળે. અહીં ભગવાન શ્રી શ્રીચક્રધર સ્વામીનું તીર્થ સ્થળ બને એવા હેતુ સાથે આવનારા રાજકીય આગેવાનો સમક્ષ વિશેષ રજૂઆત પણ કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. 5 લાખ લોકો માટે ભોજન પાણી તેમજ 1000 લોકો એક સાથે રહી શકે એ પ્રકારની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં આવનારા લોકોને કોઈ અગવડ નહીં પડે તે માટે સ્થાનિક મહાનુભાવ સંપ્રદાયના આગેવાનો અને સેવાકીય કામગીરી કરનારા કાર્યકરો દ્વારા વિશેષ કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે યાદ રહે કે, ગુજરાતના ભરૂચ ખાતે આજથી 800 વર્ષ પહેલાંના રજવાડામાં ભગવાન શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હતો તેમના જન્મ બાદજ એક જ્યોતિષે તેમના પિતાને કહ્યું હતું કે તમારા પુત્રને તાવ આવશે અને તેનું મૃત્યુ થશે પરંતુ તે પુનઃ જીવિત થશે અને એક મહાન વ્યક્તિ બનશે. જે જ્યોતિષની ભવિષ્યવાણી સાચી ઠરીને ભગવાન શ્રી ચક્રધર સ્વામી અહિંસા, પ્રેમ અને પ્રાણી માત્ર ઉપર દયા સાથે લોક કલ્યાણ અર્થે મહાનુભાવ સંપ્રદાયની સ્થપના કરી હતી. તેઓએ સૌથી વધુ સમય મહારાષ્ટ્રના ઊંડાણના આદિવાસી ક્ષેત્રમાં ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો અને આજે પણ તેમના અનુયાયી દ્વારા તેમના ઉપદેશ અનુસાર કામગીરી કરી આદિવાસી ક્ષેત્રમાં અહિંસા અને વ્યસન મુક્તિ જેવી કામગીરી કરી રહ્યા છે. કપરાડા અને ધરમપુર વિસ્તારના મહારાષ્ટ્રને અડીને આવેલા અનેક ગામોમાં લોકો આજે પણ મહાનુભાવ સંપ્રદાય તરફ લોકો રહ્યા છે વ્યસન અને અહિંસા એમનો મુખ્ય બે પાયા છે.