-
દમણના આદિવાસી સમાજની કાયાપલટ માટે શિક્ષણ સૌથી મોટું હથિયારઃ જિલ્લા કલેક્ટર તપસ્યા રાઘવ
-
આદિવાસી સમાજ દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોઃ સમાજના સમર્પિત વડીલો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓનું સન્માન પણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી આજે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, ઊર્જા સચિવ શ્રી એમ.ચૈતન્ય પ્રસાદ, પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા), સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી તરૂણાબેન પટેલ, વિવિધ પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, કાઉન્સિલરો સહિત ખુબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આજે દમણ જિલ્લા આદિવાસીસમાજે બતાવેલી પોતાની એકતા, શિસ્ત અને ખેલદિલીની ચર્ચા લાંબો સમય રહેશે.
આજે દમણ જિલ્લાના કલેક્ટર ડો. તપસ્યા રાઘવે ઉપસ્થિત આદિવાસી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિને બચાવવામાં આદિવાસી મહિલાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેમણે આદિવાસી મહિલાઓના પારંપારિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણની ભૂમિકાની સરાહના પણ કરી હતી. તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણા પ્રદેશમાં પ્રાથમિકથી લઈ ઉચ્ચ શિક્ષણ ખુબ જ સરળતાથી મળે છે અને આદિવાસી બાળકો માટે શિષ્યવૃત્તિની પણ સુવિધા છે જેનો લાભ લઈ તેમણે બાળકોને ભણાવવા ઉપર ખાસ ધ્યાન આપવા ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ., ટી.ટી.આઈ. અને વોકેશનલ કોર્ષનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી પુસ્તકો ઉપર ધ્યાન અપાવવા માર્ગદર્શન આપ્યું હતું.
ડો. તપસ્યા રાઘવે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે શરૂ કરેલ વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ આગ્રહ કર્યો હતો. તેમણે પ્લાસ્ટિક મુક્ત પ્રદેશના નિર્માણ માટે પોતાના ઘરથી જ શરૂઆત કરવા પણ શિખામણ આપી હતી.
ડો. તપસ્યા રાઘવે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવાપણ હાકલ કરી હતી.
પ્રારંભમાં આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડીએ આપેલા સ્વાગત વક્તવ્યમાં આદિવાસી સમાજની કેટલીક જરૂરિયાતો ઉપર પણ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું.
આ સમારંભમાં મહિલાઓ અને યુવાનો દ્વારા પારંપારિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણ જિલ્લાના આદિવાસીઓનો હોંશ અને જુસ્સો સાતમા આસમાને હતો. આ સમારંભમાં કલેક્ટર ડો. તપસ્યા રાઘવ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સમાજ માટે સમર્પિત વડીલો અને સરકારી અધિકારીઓને સન્માનિત પણ કરાયા હતા.
સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ઉપસ્થિત તમામ જનમેદનીએ પોતાના બંને હાથે તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાનો જયઘોષ પણ કર્યો હતો.
આભારવિધિ સંઘપ્રદેશ પ્રશાસનના ટ્રાયબલ કલ્યાણ વિભાગના ડાયરેક્ટર શ્રી જતિન ગોયલે આટોપી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિક હળપતિએ કર્યું હતું.
આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ હળપતિ, ધોડિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોડી અને વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલીના નેતૃત્વમાં તમામ આદિવાસી સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.