જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 80 હજાર અને શહેરી વિસ્તારમાં 85 હજાર ઘરોને આવરી લેવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1.65 લાખ ઘરો પર તિંરગો લહેરાઈ એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
હર ઘર તિંરગા અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં તા. 13થી 15 ઓગસ્ટ સુધી ગ્રામીણ વિસ્તારોમાં 80 હજાર અને શહેરી વિસ્તારોમાં 85 હજાર ઘરો પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાશે. જે મુજબ વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વલસાડ તાલુકાના 31 હજાર, પારડી તાલુકાના 12 હજાર, વાપી તાલુકાના 12 હજાર, ઉમરગામ તાલુકાના 12 હજાર, ધરમપુર તાલુકાના 7 હજાર અને કપરાડા તાલુકાના 6 હજાર ઘરો પર તિરંગો લહેરાશે, જ્યારે શહેરી વિસ્તારમાં વલસાડ પાલિકામાં સમાવિષ્ટ 30 હજાર, વાપીમાં 30 હજાર, ઉમરગામમાં 10 હજાર, પારડીમાં 10 હજાર અને ધરમપુરમાં 5 હજાર ઘરો પર તિંરગો લહેરાશે. રાષ્ટ્રધ્વજ આંગણવાડી, સ્કૂલ, પંચાયત, સસ્તા અનાજની દુકાન અને પોસ્ટ ઓફિસમાંથી લોકો ખરીદી રહ્યા છે. 20×30નો રાષ્ટ્રધ્વજ પાલિકા વિસ્તારમાં સ્ટીક સાથે રૂ. 30 માં અને ગ્રામીણ વિસ્તારમાં સ્ટીક વિના રૂ. 21માં ખરીદી શકાશે.