(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સુરંગી ગામે મહોરમના દિવસે નમાજ પઢવા આવેલ 3 ભાઈઓ ઉપર સ્થાનિક મુસ્લિમ વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રઈશ મુખ્તાર અન્સારી રહેવાસી મુસ્લિમપાડા, સુરંગી જેઓ એમના ભાઈઓ જોડે ગામની મસ્જિદમાં નમાજ પઢવા આવેલ હતા મસ્જિદમાંથી બહાર નીકળ્યા બાદ રઈશ અને તેમના બન્ને ભાઈઓ ઉપર ગામના જ એક મુસ્લિમ પરિવારના લોકો અને એમના સાગરીતો દ્વારા મુક્કા અને હાથ-પગ વડે ટોળામાં આવેલ લોકોએ માર માર્યો હતો. આ બાબતે રઈશના મોટા ભાઈ સાલમ અંસારીએ જણાવ્યું કે આ હુમલો કરનાર અમારા ગામના જ છે, જેના ઘરની દીકરી અને મારો નાનો ભાઈ રઈશ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. આ બાબતે અગાઉ પણ ચારથી પાંચ વખત અમારી ઉપર હુમલો કરવામાં આવેલ છે તેથી અમારે એટલું જ કહેવું છે કે છોકરીના પરિવારવાળા જો રાજી હોય તો અમારા ભાઈ જોડે શાદી કરે, જો નહીં રાજી હોયતો ન કરે, અમને કોઈ જ વાંધો નથી. છોકરીના પરિવારવાળા દાદાગીરી કરતા રહે છે અને કહે છે કે તમારા પરિવારને અમે ગામમાં નહિ રહેવા દઈશું. આ ઘટના અંગે ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે અને અમને યોગ્ય ન્યાય મળે એવી માંગ કરી છે.