(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14
‘આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે’ 1947માં થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે સર્જાયેલ પરિસ્થિતિને ઉજાગર કરવા ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. આ સંદર્ભમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા આજે એક મૌન રેલી કાઢવામાં આવી હતી અને સાથે કલા ભવન ખાતે પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીને કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, 1947માં જ્યારે દેશના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડયા તે દરમ્યાન જે દુઃખદ ઘટનાઓમાં લાખો લોકો બેઘર થયા હતા, અસંખ્ય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડયો હતો, સેંકડો લોકો પોતાની જમીન, નોકરીઓ છોડીને શરણાર્થી તરીકે રહેવું પડયું હતું. જેની પીડાના દર્દ લાખો લોકોએ દસકો સુધી સહન કર્યા છે. આ દેશની વિભાજનની ઘટના ઘણી જ દુઃખદ અને હૃદયદ્રાવક હતી. જેતે યાદ કરવા ગત વર્ષથી આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ ભારતીય ઈતિહાસમાં ભૂલાવી નહીં શકાય એવી ઘટનાજણાવતા દેશના વિભાજનની આ ઘટનાને સહન કરનારની સ્મૃતિમાં ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ મનાવવા માટે આહ્વાન કર્યું હતું. જેના ઉપલક્ષમાં આજે 14મી ઓગસ્ટના રોજ સેલવાસ કલેક્ટર કચેરીથી મૌન રેલી કાઢવામાં આવી હતી જે કિલવણી નાકા થઈ પોલીસ હેડ ક્વાર્ટરથી કલા કેન્દ્ર પર પહોંચી હતી. જ્યાં ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ બાબતે ઉપલબ્ધ કરવામાં આવેલ પ્રદર્શનનું અનાવરણ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ખાનવેલ આરડીસી શ્રી શુભમ સિંગ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકા સભ્યો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.