‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો અર્થ મહામૂલી આઝાદીના વિચારોનું નવતર સ્વરૂપે અમૃતમંથન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16
ગુજરાત રાજ્યનાં મત્સ્યોધોગ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય રીતે ઉજવણીકરવામાં આવી હતી. રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાથે પરેડનું નિરક્ષણ કર્યુ હતુ.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે ‘હર ઘર તિરંગા’ની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતી, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાનાં સન્માન માટે એક થઈએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો, મંત્ર સાર્થક કરી રહ્યા છીએ અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દેશ પ્રત્યેક પરિવાર મન મૂકીને ઉજવણીમાં સામેલ થયું છે એવું જણાવ્યું હતું.
ખેડૂતો,યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે અને આઝાદીના અમૃતકાળમાં પોતાનું યોગદાન આપી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરશે તેવી મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે, તેમણે ચિંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે પ્રમાણિકતા પૂર્વક આગળ વધી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે અતિવૃષ્ટી,અનાવૃષ્ટી, કોરોના જેવા પડકારો મુશ્કેલીઓ સામે ગુજરાત ક્યારેય ડગ્યુ નથી કોરોના સામે લડવા મુખ્યમંત્રીશ્રીનાં નેતૃત્વ હેઠળ યુધ્ધનાં ધોરણે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને આધુનિક ટેક્નોલોજીના સમન્વય દ્ધારા વહીવટમાં સંવેદનાસભર ત્વરીત નિર્ણયો લઇને ગુજરાતના ખુણે ખુણાના વિકાસ માટે આ સરકારની પ્રતિબધ્ધતાની પ્રતિતી સૌને થઈ રહી છે.
મંત્રીશ્રી જણાવ્યું હતું કે, ગુજરાતને વિકાસની નવતર બુલંદીઓ ઉપર પહોચાડવા માટે છેલ્લા બેદશકાઓથી જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની જનજનને પ્રતીતિ થઈ છે. સુશાસન થકી રાજ્યએ અગ્રેસરતાથી દરેક ક્ષેત્રમાં પ્રશંસનીય સિદ્ધિઓ હાંસલ કરી છે.
રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે રૂા.25 લાખનો ચેક ગણદેવી તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવને અર્પણ કર્યો હતો. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, 108માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે નવસારી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તૃત કરાયા હતા.
આ અવસરે જિલ્લા પંચયાત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
—–