શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડા એટલે કે 133 મતો મેળવનાર મનિષભાઈ પટેલ વિજેતા જાહેર થયા પરંતુ બીજા ક્રમે એકડાના 97 મતો મળવા છતાંત્રીજા સ્થાને 93 એકડા મેળવનાર રસિકભાઈ ઝાંઝમેરા બગડાના જોરે જાહેર થયેલા વિજેતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
સુરત, તા.18: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની વિવિધ સંવર્ગની સેનેટની યોજાયેલ ચૂંટણીનું પરિણામ ગત મંગળવાર તા.16મી ઓગસ્ટના રોજ આવ્યું હતું. જેમાં મત ગણતરી પ્રેફરન્શિયલ હોવાથી એકથી વધુ બેઠક વાળી સીટ ઉપર એકડા વધારે હોવા છતાં કેટલાક ઉમેદવારોને હારનો સામનો કરવા પડયો હતો. જેમાં શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડાના 133 મતો પ્રાપ્ત કરનાર શ્રી મનિષભાઈ પટેલ વિજેતા થયા હતા. બીજા ક્રમે એકડાના 97 મતો પ્રાપ્ત થવા છતાં ત્રીજા ક્રમાંકે આવેલ શ્રી રસિકભાઈ ઝાંઝમેરાને માત્ર 93 એકડા મળવા છતાં એમને મળેલા બગડાના જોરે તેમને વિજેતા જાહેર કરાયા હતા.
આ બાબતે શિક્ષક સંવર્ગની બેઠકમાં 97 મતો મેળવી બીજા સ્થાને આવવા છતાં પરાજીત થનારા શ્રી અશોકકુમાર સોલંકીનો પ્રતિભાવ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રેફરન્શિયલ મત પ્રક્રિયાની જગ્યાએ સાદી અને સરળ પ્રક્રિયા રાખવી જોઈએ, જેના કારણે જેમને વધુ સમર્થન મળે તેઓ વિજેતા જાહેર થઈ શકે.