ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ચીખલી મામતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થાળી વગાડી નોંધાવેલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ), તા.23: ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સક્ષમ અધિકારી દ્વારા ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાશિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું ગત તા.19મે, 2022ના રોજ પ્રસિધ્ધ કરી સંબંધિત ગામોના ખેડૂતો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના અનુસંધાને ખેડૂતો દ્વારા જરૂરી વાંધાઓ, રજૂઆતો સાથેની વાંધાઅરજીઓ સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી નવસારી સમક્ષ રજૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોની વાંધા અરજીઓ અંગે સાંભળ્યા વિના જ સક્ષમ અધિકારીના આદેશથી જમીનના 712ના ઉતારામાં જમીન સંપાદન માટેની ફેરફાર નોંધ પાડી દેવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ આદિવાસી સમાજના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટમાં આદિવાસી ખેડૂતો પોતાની એક ઈંચ જેટલી પણ જમીન આપવા માંગતા ન હોય ત્યારે ચીખલી તાલુકાના અસરગ્રસ્ત ગામોની લોક સુનાવણી થાય એ પહેલા જ તેમની જમીનમાં કાચી એન્ટ્રી પાડી દેવાતા અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી મંગળવારના રોજ ચીખલી મામલતદાર શ્રી ડી.એમ.મહાકાળ સમક્ષ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રગનેશ પટેલની આગેવાનીમાં મહિલાઓએ થાળી વગાડી, ગીતો ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.
આગામી 29 ઓગસ્ટના રોજ નવસારી ખાતે મહારેલી યોજી આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવનાર હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.