-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી તથા દીર્ઘદૃષ્ટિ ભરેલા આયોજનના કારણે દાનહ અને દમણ-દીવનો શૈક્ષણિક, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહેલો સતત વિકાસ
-
જે ઉચ્ચ અભ્યાસક્રમો માટે દેશના વિકસિત રાજ્યોના વિદ્યાર્થીઓ તરસી રહ્યા છે તે પૈકીના મોટાભાગના કોર્ષ દાનહ અને દમણ-દીવમાં શરૂ થઈ ચુક્યા છે અને આવતા દિવસોમાં અનેક નવા અભ્યાસક્રમો પણ થઈ રહેલા શરૂ
-
સંઘપ્રદેશ પ્રશાસનના મહત્વાકાંક્ષી નાઈટ માર્કેટના પ્રોજેક્ટના આરંભ બાદ દમણની ઔર વધશે રોનક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: સંઘપ્રદેશની અત્યારે ચાલી રહેલી વિકાસની ગતિ યથાવત રહી તો આવતા બે વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક વિકસિત બેનમૂન પ્રદેશ બનશે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા મહત્વાકાંક્ષી આયોજનના પગલે આવતા દિવસોમાં દાનહ અને દમણ-દીવનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વવધતું રહેશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે છ વર્ષ પહેલાં અખત્યાર સંભાળ્યો ત્યારે દમણની છાપ એક દારૂ નગરી તરીકેની હતી. દાદરા નગર હવેલીની કોઈ ખાસ ગણતરી પણ નહીં હતી. તેની સામે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ શૈક્ષણિક, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી ચુક્યું છે.
આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નાઈટ માર્કેટનો આરંભ દમણમાં થવાનો છે. રાત્રિ બજાર શરૂ થયા બાદ દમણમાં પ્રવાસીઓના ધસારાની સાથે આર્થિક ગતિવિધિ પણ તેજ બનશે.
કોરોના કાળના બે વર્ષને બાદ કરતા 2016ની સરખામણીમાં આ વર્ષે પ્રદેશમાં પ્રવાસીઓનો ધસારો અવિરત રહ્યો છે. દમણમાં શનિ અને રવિવારે ટ્રાફિક જામ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. પ્રદેશની લગભગ તમામ હોટલો ફૂલ જઈ રહી છે. હોટલ ઉદ્યોગને પણ વેગ મળ્યો છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રદેશનો કલ્પનાની બહારનો વિકાસ થયો છે. જે ઉચ્ચ અભ્યાસક્રમો માટે દેશના વિકસિત રાજ્યોના વિદ્યાર્થીઓ તરસી રહ્યા છે તે પૈકીના મોટાભાગના કોર્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થઈ ચુક્યા છે અને આવતા દિવસોમાં અનેક નવા અભ્યાસક્રમો શરૂ કરવાનું આયોજન પણ હાથવેંતમાં હોવાનું પ્રશાસન દ્વારા જણાવવામાંઆવે છે.
સંઘપ્રદેશની દિશા અને દશા બદલવાનો શ્રેય એકમાત્ર પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિના ફાળે જાય છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના 28મી ઓગસ્ટના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મી ઓગસ્ટથી તેમના 7મા વર્ષનો આરંભ થઈ રહ્યો છે. હજુ તેઓ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સંઘપ્રદેશના પ્રશાસક તરીકે રહેવા જોઈએ એવી બહુમતિ પ્રજાજનોની લાગણી વ્યક્ત થઈ રહી છે. તેમના 7મા વર્ષના પ્રવેશને વધાવવા માટે પણ લોકોમાં વ્યાપકપણે આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.