વાપી ગણેશમય બન્યુ છે : પંડાલોમાં બાપા મોરીયાની આસ્થાપૂર્વક સેવા પૂજા અર્ચનાનો ભક્તિ માહોલ છવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: ગણેશ ચતુર્થીના શુભ દિનથી ગણેશ મહામહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે.વાપીમાં સોસાયટીઓ, મોહલ્લા, ફળીયાઓમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાની 500 ઉપરાંત મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. મહાપ્રસાદ, ભજનો, સવાર-સાંજ આરતી પૂજા ભાવિકા આસ્થા સભર વાતાવરણમાં કરી રહ્યા છે ત્યારે રાજ્યના નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુરૂવારે રાત્રે વાપી 10 ઉપરાંત ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. જ્યાં આરતી સમય હતો ત્યાં પૂજા કરી શ્રીજીના આશિર્વાદ મેળવ્યા હતા.
વાપી વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે પૈકી દોઢ દિવસીય ગણેશજીની ગઈકાલ ગુરૂવારે વિસર્જીત કરાયા હતા. આવતીકાલ શનિવારે ત્રીદિવસીય સ્થાપના થયેલ શ્રીજીની મૂર્તિઓનું ભાવિકો દ્વારા વિસર્જન કરાશે. અનંત ચૌદશ સુધી આ મહોત્સવ ચાલશે. શ્રી કનુભાઈ દેસાઈએ સુલપડમાં ન.પા. સેવક દ્વારા બેસાડેલ ગણેશજીની આરતી પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. ગુરૂવારે તેઓએ 10 ઉપરાંત પંડાલોની મોડી રાત સુધી મુલાકાત લીધી હતી.