(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત સરકારી કેન્દ્ર શાળા ખાનવેલમાં પ્રદેશના લોકોને પ્રશાસનિક સેવાઓ અને વિવાદિતકેસોમાં માર્ગદર્શન પ્રદાન કરવા માટે ‘પ્રશાસન ગામ તરફ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્ત વિભાગ, જમીન સંપાદન વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંકિંગ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત કેસોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 1200થી વધુ લાભાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આ શિબિરમાં દાનહ પ્રશાસનના વિવિધ વિભાગોમાં કુલ 1246 અરજીઓ સ્વીકારમાં આવી હતી, જેમાંથી 99 અરજી ઓફલાઈન સ્વીકારી તેમાંથી 311 અને 487 અરજીઓ ઓનલાઈનના માધ્યમથી સ્વીકારી તેમાંથી 463 લાભાર્થીઓને સફળતાપૂર્વક સ્થળ પર જ સેવાઓ આપવામાં આવી. આ અવસરે મામલતદાર શ્રી ભાવેશ પટેલ, ખાનવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નિશાબેન સુનિલભાઈ ભવર, ગ્રામ પંચાયતના સભ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.