-
દાનહ અને દમણ-દીવ જનતા દળ (યુ)નું વિધિવત રીતે ભાજપમાં વિલીનીકરણ
-
જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ નિશાબેન ભવર સહિત 15 સભ્યોએ બાંધેલી ભાજપની કંઠી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ જનતા દળ(યુ)નું વિધિવત વિલીનીકરણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીમાં થવાની સાથે દાનહ જિલ્લામાં પંચાયતમાં જનતા દળ (યુ)ના પ્રતિક હેઠળ ચૂંટાયેલા 17 સભ્યો પૈકી 15 સભ્યોએ ભાજપની કંઠી બાંધી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવ જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આજે ભાજપની કંઠી બાંધી હતી.
આ પ્રસંગે સેલવાસના અટલ ભવન ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે જણાવ્યું હતું કે, બિહારમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર મત માંગીને નીતિશ કુમાર સત્તામાં આવ્યા હતા. પરંતુ વિશ્વાસઘાતની એમની જૂની પરંપરા કાયમ રાખી અલગ થયા છે. તેમણે ભારપૂર્વકજણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાંથી પરિવારવાદને નેસ્તનાબૂદ કરવાનું કામ પણ કરાયું છે. તેમણે સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને આતંકની રાજનીતિ હવે દાદરા નગર હવેલીમાંથી પૂર્ણ થઈ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ની મર્યાદામાં રહીને કામ કરશે એવો દૃઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ત્રિપ્પલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. જનતા દળ(યુ)નું ભાજપમાં વિલીનીકરણ થવાથી વિકાસના કામોને ઔર ગતિ મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દાદરા નગર હવેલીના વિકાસ માટે દિન-રાત સમર્પિત છે. તેમની વિકાસની રાજનીતિને નજર સમક્ષ રાખી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જનતા દળ(યુ)ના 15 સભ્યોને ભાજપમાં ખેસ પહેરાવી અનેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પુસ્તિકા ભેટ આપી પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકર, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈએ જનતા દળ(યુ)ના સભ્યોને ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.