(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ દત્તક ગ્રહણ સંસ્થા, ઝંડાચોક સેલવાસ ખાતે કાર્યરત છે. આ સંસ્થામાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્યાગ કરેલ બાળક અથવા કોઈપણ બાળક જે નિરાધાર હોય અને એની ઉંમર 06 વર્ષની હોય તો એને આ એજન્સીમાં રાખવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે બાળકો વંચિત રહી જાય છે.
ગત 16 સપ્ટેમ્બર, 2022ના રોજ ક્લેકટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આવા જ એક આશ્રિત બાળકને એડોપ્શન રેગ્યુલેશન-2022 મુજબ અન્ય રાજ્યના નિવાસી માતા-પિતાને નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખના હસ્તે આપવામાં આવ્યું છે. એની સાથે સેલવાસની દત્તક ગ્રહણ સંસ્થામાંથી 11 બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. જનતાને અનુરોધ છે કે દત્તક લેવા માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. કારણ કે, બાળકો દત્તક લેવા અને આપવા માટેની વ્યવસ્થા પારદર્શી બનાવાઈ છે જેથી હવેમાતા-પિતાએ દત્તક ગ્રહણ માટે બીજા રાજ્યમાં જવાની જરૂર નથી.
આના સિવાય અગર કોઈ 18 વર્ષની ઉંમરના ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ખોવાયેલા બાળકો વગેરે બાળકોના શિક્ષણ અને દેખભાળ માટે ઓપન શેલ્ટર હોમ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્થિત કાર્યરત સેન્ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે.