(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.01: ભારત સરકાર દ્વારા વધતા જતા માર્ગ અકસ્માતોની ઘટનાને લઈને હિટ એન્ડ રન કાયદાની અમલીકરણ માટે તજવીજ હાથ ધરાતા અને આ કાયદામાં વધુમાં વધુ ડ્રાઈવરને 10-વર્ષ સુધીની સજાની જોગવાઈ અને પાંચથી સાત લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈનું આયોજન હોવાની બાબતે ટ્રક ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને ટ્રક ચાલકોએ હડતાળનું શષા ઉગામી ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ખૂંધ સાત પીપળા નજીક હજ્જારોની સંખ્યામાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને પીએસઆઈ જયદીપસિંહ જાદવ, એચ.એસ.પટેલ, એમ.કે.ગામીત સહિતનાઅધિકારીઓ ધસી જઇ મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અને એક સમયે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જોકે બાદમાં સ્થળ પર ધસી આવેલા ડીવાયએસપી એસ.કે.રાય દ્વારા ચાલકો સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો.
આ દરમ્યાન ટ્રક ચાલકોએ આ હિટ એન્ડ રન કાયદા સામે વિરોધ વ્યક્ત કરી તેનો અમલ અટકાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ઉપરોક્ત નવી જોગવાઈનો અમલ સમગ્ર દેશમાં કરી દેવાયો હોવાનું અને હજુ સુધી દંડની રકમની કોઈ સ્પષ્ટતા ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. ખાસ કરીને વાહન ચાલકો અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી જતા હોય છે. તેવા કિસ્સામાં જ આ નવી જોગવાઈ લાગુ પડતી હોવાની પણ માહિતી સાંપડી હતી. ત્યારે સરકાર દ્વારા ચાલકોની મુંઝવણ દૂર થાય તે માટે જોગવાઈની તમામ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે.
ચીખલીમાં મોટાપાયે ક્વોરી ઉદ્યોગ ધમધમતો હોય ટ્રક ચાલકોની હડતાળથી ખનીજનું વહન અટકી ગયું હતું અને માર્ગો પરથી ભારે વાહનો અદ્રશ્ય થઈ ગયા હતા.
ટ્રક ચાલક પુરુષોત્તમ પાંડેના જણાવ્યાનુસાર આ કાળા કાયદા સામે અમારો વિરોધ છે. આ કાયદો બંધ ન કરવામાં આવે ત્યાં સુધી અમે સ્ટેયરિંગ પકડીશું નહિ. આજે બે થીઅઢી હજાર ડ્રાઈવરો અમારી સાથે જોડાયા છે. આ કાયદો બંધ ન થાય તો અમે ડ્રાઇવરનું કામ છોડી દઇશું બીજા કામધંધા કરી પરિવારનું ભરપોષણ કરીશું.