‘‘ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી” ના નારા સાથે મામલતદાર કચેરી પહોંચી સોંપાયું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.11: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પારડી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ આ ઘટનાને વખોડી કાઢી પારડી મામલતદાર કચેરી ખાતે ભાજપ તેરી દાદાગિરિ નહીં ચલેગી ના નારા સાથે કાર્યકરો પહોંચી હુમલાખોરોને ઝડપી સખતમાં સખત સજા આપવાની આવેદનપત્ર આપી માંગ કરી છે. અને નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુધ્ધ આકરા પ્રહારો કરતું લખાણ પણ કરવામાં આવ્યું છે જે આવેદનપત્રમાં કરાયેલ ઉલ્લેખ મુજબ રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણ દાયકા સદંતર નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને પ્રજા વિરોધી નિર્ણયોના પરિણામ હવે ભીત ઉપરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ તેમના છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયા મારી રહ્યા છે. તેના બોલતા પુરાવારૂપ ઘટનામાં શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો નું જણાવવામાંઆવ્યું છે. જેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને તાકીદ કરે છે કે આવી કોઈ ઘટના સાંખી લેવામાં આવશે નહીં. આદિવાસી અધિકાર માટે લડત ચલાવતા અનંત પટેલે લોક ચાહના મેળવી છે. જેથી તેમની લોકચાહના સાખી નહીં શકતા કથિત રીતે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હવે ચૂંટણી પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રજા ઉપર ધાક જમાવવા આવી નિમ્ન કક્ષાની રાજનીતિ આચરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટનાને કોંગ્રેસ વખોડે છે અને તાકીદે તપાસ કરી દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. દોષીતો સામે સત્વરે કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો વધુ આક્રમક કાર્યક્રમો આપવાની કોંગ્રેસ દ્વારા ચીમકી આપી આ આવેદનપત્ર પારડી મામલતદાર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મેહુલ વશી, શહેર પ્રમુખ બિપિન પટેલ, દિનેશ ભરતીયા, કપિલ હળપતિ, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.