(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એલ એન્ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની રજૂઆત કરી 15-દિવસમાં ખેડૂતોને ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ધારાસભ્ય અનંતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ સહિતનાનીઆગેવાનીમાં નાદરખા ગામના ખેડૂતો દ્વારા ગણદેવીમાં મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફળ બનાવવા અમે ખેડૂતોએ પૂરતો સહયોગ આપ્યો છે પરંતુ એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. અમો એલ એન્ડ ટી કંપનીને અમારી જમીન ભાડુઆત તરીકે આપી હતી પરંતુ એલ એન્ડ ટી કંપનીએ અમોને કહેલ કોઈ શરતોનું પાલન કર્યું નથી અમારી સાથે છેતરપિંડી કરેલ છે અને અમારો પરિવાર આ ખેતીની જમીન પર ગુજરાત ચલાવતા હતા પરંતુ હાલમાં એલએન્ડટી કંપનીએ અમારી પરવાનગી વગર 25 થી 30 ફૂટ ઊંડે સુધી માટી ખનન કર્યું છે સાથે ભોંય તળિયામાં સિમેન્ટ કોંક્રીટ કર્યું છે જેથી એમાં ખેતી કરી શકાય એવી કોઈ શકયતા નથી રહી જમીનમાં ઊંડા ખાડાઓ કરવામાં આવ્યા હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય છે ત્યાં જીગ્નેશભાઈનું મકાન પણ આવેલ છે જેમની પાસે રહેવા માટે બીજું કોઈ જગ્યા નથી.
અમે ખેડૂતોએ સરપંચ, તલાટી, મામલતદાર, કલેક્ટર, ધારાસભ્ય, સાંસદને રજૂઆત કરી હોવા છતાં ન્યાય મળેલ નથી. બીજી તરફ એલ એન્ડ ટી કંપનીના મોટર સાહેબ કહે છે કે આ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તમારાથી જ્યાં કેસ થતો હોય ત્યાં કરો.કોઈનું કશું ચાલવાનું નથી. આગામી 15 દિવસમાં ન્યાય ન મળે તો અમારી જમીન પર બેસીને આંદોલન કરી અમારી જમીન પર ચાલતા કામોને અટકાવી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારમાં આવી છે.