‘નલ સે જલ યોજના’નું કામ હજુ સુધી પૂર્ણ નહીં થતાં લોકોને 10 – 12 કિલોમીટર દૂર આવેલ તળાવ-કોતરોમાંથી પાણી ભરવાની નોબત
દાનહના માંદોની, સિંદોની, દૂધની, કૌંચા, ખેડપા, બેડપાના કાસ્ટુનપાડા, સ્ટેટપાડા, મૂળગામ, સુથારપાડા, બીનપાડા, ચાપાપાડા, પટેલપાડા, નીરભૂનપાડા, ચીખલી, વાંસદા, મુળગામ, ચોથાપાડા વગેરે જેવા ગામડાંઓના લોકો ગરમીના પ્રકોપ સાથે પાણી માટે મારી રહ્યા છે વલખાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓના ગરીબ આદિવાસી લોકો ધોમધખતા ઉનાળાની ઋતુમાં પીવાના અને ન્હાવા-ધોવા તેમજ પશુઓને પીવાના પાણી માટે ભારે તકલીફો વેઠી રહ્યા છે. લોકો પાણી માટે 10 – 12 કિલોમીટર દૂર નદી, ખનકી વગેરેમાંથી પાણી લેવા માટે જઈ રહ્યા છે અને તેમની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. ક્યાંક ક્યાંક પ્રશાસન દ્વારા ટેન્કરો દ્વારા પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઊંડાણના વિસ્તારોમાં આવેલા માંદોની, સિંદોની, દૂધની, કૌંચા, ખેડપા, બેડપાના કાસ્ટુનપાડા, સ્ટેટપાડા, મૂળગામ, સુથારપાડા, બીનપાડા,ચાપાપાડા, પટેલપાડા, નીરભૂનપાડા, ચીખલી, વાંસદા, મુળગામ, ચોથાપાડા વગેરે જેવા ગામડાંઓના લોકો ગરમી સહન કરવા સાથે પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવી પરિસ્થિતિ લગભગ દર વર્ષે ઉનાળાના પ્રારંભથી જ શરૂ થતી હોય છે અને માણસો સહિત પશુપ્રાણીઓને પીવાના પાણી માટે બુમરાણ શરૂ થઈ જાય છે. દાનહના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં આવેલા પાણીના મુખ્યસ્ત્રોત ભારે ગરમીના કારણે સુકાઈ જતા હોય છે અને ક્યાંક કૂવાઓમાં પાણી સ્તર એકદમ તળિયે પહોંચી જતું હોય છે. તેમજ તળાવોના પણ તળિયા દેખાવા લાગે છે. જેના કારણે પાણીની ઘણી જ તકલીફો પડે છે. કેટલાક ફળિયાઓની આજુબાજુ ઝરણાં, ખનકી, નદી વગેરે આવેલ છે, જ્યાં પાણી લેવા લગભગ 12 કરતા પણ વધુ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. તો કેટલાક ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં પમ્પ દ્વારા પૂરતુ પાણી અપાતુ નથી, ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે તેવા સમયે અંતરિયાળ વિસ્તારના લોકોએ નદી અને ખનકીના પાણી પર અથવા તો ટેન્કરના ભરોસે જીવન ગુજારો કરવાનો વારો આવી રહ્યો છે. ટેન્કર દ્વારા પણ 23 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે જેમાં પણ ટેન્કરો અધૂરી ટાંકી ભરી આવે છે. ટેન્કરોમાં લવાતું પાણી ક્યાંક નદી કે ખનકીમાંથી ખાડો ખોદી લાવવામાંઆવતું હોવાની પણ બુમરાણ છે જે પાણી પીવાલાયક હોતુ નથી, તેથી આ પાણીને ઘરવપરાશમાં અથવા તો પશુઓને પીવડાવવાના ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી ટેન્કર દ્વારા આપવામાં પાણીને લોકો પીપડાઓ કે પછી મોટા વાસણોમાં એકત્રિત કરી ઉપયોગમાં લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રશાસન દ્વારા કેટલાક ગામોમાં પીવાના પાણી માટેની પાઈપલાઇન નાખવામાં આવી છે પરંતુ હજી સુધી એનું કામ પૂર્ણ નહીં થવાના કારણે પાણી ગામોમાં પહોંચતું નથી. ‘નળ સે જળ યોજના’ અંતર્ગત ફળિયે ફળિયે નળ તો લગાવવામાં આવ્યા છે પરંતુ હજી સુધી એને ચાલુ કરવામાં આવ્યા નથી.
પાણી માટે ટેન્કર ભરોસે નભતા ગામડાઓમાં માંદોની, સિંદોની, ખેડપા, બેડપાના કાસ્ટુનપાડા, સ્ટેટપાડા, મૂળગામ, સુથારપાડા, બીનપાડા, ચાપાપાડા, પટેલપાડા, નીરભૂનપાડામાં બે દિવસના અંતરે ટેન્કરો આવે છે અને ચીખલી, વાંસદા, મુળગામ, ચોથાપાડામાં અઠવાડિયામાં એક દિવસ જ ટેન્કર આવે છે. જેના કારણે સ્થાનિકોને પાણીની ઘણી જ તકલીફો પડી રહી છે. ચોથાપાડા ગામના લોકો મળસ્કે ચાર વાગ્યેથી જ પાણી માટે પાંચ કિલોમીટર જેટલું ચાલીને ડુંગર નીચે આવી નદીના ખાડામાંથી પાણી ભરીને લઈ જાય છે અને સાંજે સૂરજ થોડો નીચે આવે ત્યારબાદ પાણી લેવા માટેફરી મહિલાઓ નીચે આવે છે. આવી કપરી પરિસ્થિતિમાં દાનહના ઊંડાણના ગામડાઓની જનતા પોતાનું જીવનનિર્વાહ કરી રહી છે.