નાનાપોંઢા-કપરાડા સાહિત્ય મંચ દ્વારા આયોજીત સાહિત્ય કાર્યક્રમમાં અતિથિ વક્તા બન્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ ડો.જયંતિલાલ બી. બારીસનું આદિવાસી સાહિત્ય મંચ નાનાપોંઢા-કપરાડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આદિવાસી સાહિત્ય, ભાષા, લોક ઉત્સવ, લોક દેવતા વિશે સરળ સમજૂતી આપી કાર્યક્રમમાં સુંદર વક્તવ્ય પણ આપ્યું હતું.
વાપીમાં કાર્યરત અધ્યાપકશ્રી ડો.જયંતિલાલ બી. બારીસ ડાંગ જિલ્લાના આંતરીયાળ વિસ્તાર કેશબંધ તા.સુબિરના વતની છે. તેઓએ હિન્દી સાહિત્ય અને રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતીય સંસ્કૃતિ અંતર્ગત અનેક લેખો લખ્યા છે. તેમના આજ સુધી 10 પુસ્તકો તેમજ 38 આલેખ પ્રગટ થયા છે. પાંચ આંતરરાષ્ટ્રિય સ્તરે અને 7 રાષ્ટ્રિય સ્તરે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ જગત અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.